મહાશિવરાત્રીએ ભગવાન શિવને લગભગ 600 કિલો શીરાનો અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સુરત સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ ખાતે ભગવાન શિવને અલગ અલગ 35 પ્રકારના શીરા ઘરાવવામાં આવ્યા હતા. કોરોનાના કારણે બે વર્ષ સુધી મહાશિવરાત્રી સહિતના તહેવારો લોકો મનાવી શક્યા ન હતા. ત્રીજી લહેર ખતમ થયા બાદ પાબંદીઓ હટવા સાથે લોકો માટે આ પ્રથમ તહેવાર હોવા સાથે ભોળેનાથના ભક્તોએ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શહેરના તમામ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ છે.
વેડરોડ ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણા અને વિવેક સ્વરૂપદાસ સ્વામીના માર્ગદર્શન અનુસાર શિવરાત્રી નિમિત્તે સ્વામિનારાયણ વેડરોડ ગુરુકુળ ખાતે અન્નકુટમાં 600 કિલો શીરાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
તેમણે વધુ વિગતો આપતા્ં જણાવ્યું હતું કે, શ્રી ભક્તિ મહિલા મંડળની બહેનો તેમજ પ્રેમભક્તિ સંસ્કાર મંદિરની સાંખ્ય યોગી બહેનોએ સાથે મળીને પ્રસાદનો શીરો તૈયાર કર્યો હતો. 35 પ્રકારના શીરામાં કાજુ બદામ ટોપરુ ગાજર, લીલા નાળીયેર, બટાટા, ખજૂર, પીસ્તા અખરોટ, સહિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષોથી મહાશિવરાત્રી રૂદ્રાભિષેક સાથે ધાર્મિક હર્ષોલ્લાસથી અહીં ઉજવાય છે.