રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા એક પત્રથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ ખાતા સામે ભ્રષ્ટ રસમથી ધાકધમકી આપી નાણા વસુલાતના ગંભીર આક્ષેપ બહાર આવ્યા છે.
પત્રમાં વિગતવાર લખવામાં આવ્યું છે કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનરશ્રી ડૂબેલા નાણા ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે. તેમણે એક કિસ્સામાં ૧૫ કરોડની ઠગાઇનો ભોગ બનેલા ફરિયાદીની એફઆઇઆર ન ફાડી તેની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાની ઉઘરાણી આવે તેમાંથી ૧૫ ટકા હિસ્સો માંગ્યો છે. આ રકમ પીઆઇ મારફત રૂા. ૭૫ લાખ જેવી ઉઘરાવી લીધા બાદ વધુ ૩૦ લાખની ઉઘરાણી માટે પીઆઇ ફોન કરી રહ્યા હોવાનો ખળભળાટ મચાવતો આક્ષેપ પત્ર દ્વારા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કર્યો છે.
read more: દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાં ભુકંપના ભારે આંચકાથી ગભરાટ
ગૃહમંત્રી હર્ષ સંઘવી માટે આ પ્રકરણમાં ઉકેલ નિશ્ચિત એક મોટો પડકાર રહેશે. પત્રમાં વિગતવાર ફરિયાદને અંતે ધારાસભ્યએ પત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કાયદાની મર્યાદામાં પગલા ભરવા વિનંતી કરી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની ગંભાીરતાથી નોંધ લેતાં ત્વરિત એક્શનના એંધાણ આપતાં જણાવ્યું હતું કે ધારાસભ્ય તરફથી મળ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને તેના તથ્યોની તપાસ માટે હું ખુદ રાજકોટ જઈશ.
બીજીતરફ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પણ ગોવિંદભાઇ પટેલની રજુઆતના સમર્થનમાં ઉતરતાં જણાવ્યું હતું કે રાજકોટનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને જમીનોના સેટીંગમાં રચ્યાપચ્યા રહે છે. આમજનતાને તો તેઓ મળતા પણ નથી.હજી વધુ આગેવાનો ધારાસભ્ય ગોવિંદભાઈના સમર્થનમાં સૂર પુરાવે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.