15 ઓક્ટોબરે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ અમાસ તિથિએ થયું. હવે આ મહિનામાં જ આવી રહ્યું છે બીજું ગ્રહણ. એક જ મહિનામાં બે ગ્રહણ એ જવલ્લે સર્જાતો યોગ છે. 2023ના વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ શરદ પૂર્ણિમાના દિવસે છે. શનિની ચાલ ઉપરાંત રાહુ-કેતુ જેવા ગ્રહોની રાશિમાં ફેરફાર સાથે ઓક્ટોબર મહિનો તહેવારો અને ગ્રહણની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. આજે અમે તમને જણાવીશું ચંદ્રગ્રહણ વિશેની કેટલીક ખાસ વાતો અને તેની રાશિ પરની અસર અને બીજું ઘણું બધું જે તમારે જાણવું બેહદ જરૂરી છે.
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ શરદ પૂર્ણિમા એટલે કે 28 ઓક્ટોબરે મધરાતે 01:05 કલાકે શરૂ થશે. જે મધરાત્રીએ જ 02:24 કલાકે સમાપ્ત થશે. વર્ષ 2023નું આ અંતિમ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં જોઈ શકાશે. ભારતમાં ગ્રહણ દેખાવાનું હોવાથી તેનો સુતક કાળ માન્ય રહેશે.
28 ઓક્ટોબરે ચંદ્ર મેષ રાશિમાં બિરાજમાન હોવાથી આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુ ગ્રહો પહેલાથી હાજર છે, એટલે જ્યોતિષીય ગણના મુજબ આ ગ્રહણ લોકોના જીવન પર અસરકારક ભાગ ભજવશે તેવું માનવામાં આવે છે.
પંચાગની ગણનાઓ અનુસાર, ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણની શરૂઆતના 09 કલાક પહેલા શરૂ થાય છે. આ ચંદ્રગ્રહણ ભારતના ઘણા ભાગોમાં જોઈ શકાશે, તેથી સુતક સમયગાળો 28 ઓક્ટોબરના રોજ સાંજે 04:05 વાગ્યાથી અમલમાં આવશે. જ્યારે સુતક લાગુ કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિ અથવા પૂજા કરવાનું શાસ્ત્રોમાં નિષેધ છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ ગ્રહણ થાય છે, ત્યારે તેની તમામ રાશિના લોકો પર શુભ અને અશુભ બંને પ્રભાવ પડે છે. 2023ના વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ, મિથુન, કન્યા, ધન અને મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ રાશિના લોકોના અટકેલા કામ જલ્દી પૂરા થશે. માન-સન્માનમાં વધારો થશે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સિદ્ધિઓ મળશે. નોકરી કરતા લોકો માટે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને સારો ફાયદો મળી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ થવાની સંભાવના છે. આ રાશિના લોકો કાયદાકીય મામલાઓમાં પણ જીત મેળવશે.