શારદીય નવરાત્રિના સાતમા દિવસે ત્રિપુષ્કર યોગ, અમૃત કાલ, સુકર્મ યોગ, ધૃતિમાન યોગ અને પૂર્વાષાદ નક્ષત્રનો પણ શુભ સંયોગમાં સુરતથી એક શુભ શરૂઆત થઈ. હકીકતમાં મધ્યપ્રદેશ જ્યાં તાપીનું ઉદગમ સ્થાન છે ત્યાં તો સૈકાઓથી આ આરતી થાય જ છે અને પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા થોડા મહિના પૂર્વે જ મેયર કોન્ફરન્સમાં આ આરતીનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવતા આ તર્જ પર સુરતના ઘાટ પર આ રીતે આરતી થાય એવી લાગણી વ્યક્ત કરી ચૂક્યા હતા. અશ્વિન શુક્લ સપ્તમીના શનિવારની શુભ સંધ્યાએ સુરતના લાલ ઘાટ પર તાપી આરતીનો પ્રારંભ થયો. તાપી નદીના લાલ ઘાટ પર તાપી આરતી માટે એક સરસ મજાનો મંચ બનાવવામાં આવ્યો છે.રામમઢી આશ્રમના સંત મુલદાસ બાપુના શિષ્યો અને ભક્તો ઉપરાંત શહેરની સંસ્કૃત શાળા અને કોલેજના વેદપાઠી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
હકીકતમાં ગંગા નદીની આરતી વિશ્વભરના સનાતનપ્રેમીઓમાં અનોખી શ્રદ્ધાનો વિષય છે. ગંગા આરતીનો લાભ લેવા દેશ-વિદેશથી લોકો આવે છે. સુરતમાં તાપી મૈયાની ગંગા આરતી જેવી નવરાત્રીની સપ્તમીથી શરૂઆત થઈ છે. તાપી નદીનું વેદ-પુરાણોમાં વર્ણિત મહાત્મ્ય જાણીએ અને તેનામાં શ્રદ્ધા રાખીએ તો આ તટે વસવાટ એ જ આપણું સૌથી મોટું સૌભાગ્ય ગણી શકાય એટલે આ તટ માટે તમે જેટલું કર્મ કરો એટલું ઓછું આંકવું. આપણે સૌ જાણીએ જ છીએ કે, તાપી નામ દેવી તાપીના શબ્દ પરથી આવ્યું છે, જે ભગવાન સૂર્ય અને દેવી છાયાની પુત્રી અને સાથે ન્યાય દેવતા શનિદેવની બહેન છે. સૂર્યપત્ની છાયાનું મૂળ નામ રત્નાદેવી’ છે જેમના નામ ઉપરથી રન્નાદે, રાંદેલ અને અંતે રાંદેર નામ પડ્યું. રાંદેર ગામમાં રાંદલ માતાનું મંદિર પણ છે. આ જેનો ઈતિહાસ હોય એ નદી જ્યારે આપણી જીવાદોરી બને તો નિશ્ચિત તેના માટેના આપણા કર્મો અણિશુદ્ધ હોવા જ જોઈએ. આરતી પ્રસંગે ઉપસ્થિત શહેરના અગ્રણી નાગરિકોએ તાપી નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી છે, તેમની આ પ્રતિજ્ઞા એ મહજ શબ્દો નહીં ભાવનાનો એક જુવાળ હોય જે પ્રત્યેક લોકોમાં ફેલાય એ અભ્યર્થના.
ઋગ્વેદ સંહિતા (યમ યમી સંવાદ ૧૦/૧૦) ઉપરાંત મોહનલાલ વી, મેઘાણી કૃત ૧૬ મી સદીનું સુરત તેમજ કેસરીચંદ ઝવેરી કૃત સૂર્યપુરનો સુવર્ણયુગનું વાંચન પણ પ્રત્યેક સુરતીઓ અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર લોકોએ એકવખત ઓછામાં ઓછું વાંચન કરવું જોઈએ ત્યારે જ આપણે તાપી નદીની હાલની સ્થિતિમાંથી ઉગારવા સાચા હ્રદયથી બહાર આવી શકીશું.
હવે વાત કરીએ, અશ્વિન શુક્લ સપ્તમીના શનિવારની શુભ સંધ્યાએ સુરતના લાલ ઘાટ પર તાપી આરતીના પ્રારંભનો તો એ પણ એક અદભૂત ચમત્કાર કહો કે કુદરતની મહેર કહો. સુંદર સંયોગ જ્યોતિષની દ્રષ્ટિએ લાવ્યો છે. શારદીય નવરાત્રિના સાતમા દિવસે જ્યારે તાપી નદીની આરતીની શુભ શરૂઆત થઈ ત્યારે ત્રિપુષ્કર યોગ, અમૃત કાલ, સુકર્મ યોગ, ધૃતિમાન યોગ અને પૂર્વાષાદ નક્ષત્રનો પણ શુભ સંયોગ રચાયો હતો. જ્યોતિષની દ્રષ્ટિએ આ શુભ યોગમાં શરૂ થતાં શુભ યોગોનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. વિશેષ વાત કરીએ તો, સુર્યપુત્રી તાપીના ભાઈ ન્યાય દેવતા શનિદેવ પણ હાલ તેમની પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. કુંભ રાશિમાં શનિ ઉચ્ચ હોય છે એટલે એ શુભ ફળદાયી જ માનવામાં આવે છે.
જ્યારે આ ગ્રહ-ગોચરમાં એક શુભત્વ તરફ આપણે પ્રયાણ કર્યું છે ત્યારે જ્યોતિષીય મત કહે છે કે, શહેર આ ભાવનાઓથી તેના ઉચ્ચ શિખરે પ્રયાણ કરવા ઝડપભેર આગળ વધશે એ બેમત છે. શનિ હાલ જોકે, વક્રી ગતિમાં છે જે બસ ગણતરીના દિવસોમાં જ્યારે માર્ગી થઈને કુંભ રાશિમાં જેમ જેમ આગળ વધશે ત્યારે ન્યાયદેવતા શનિદેવ એ સમયગાળામાં તાપી નદી અને શહેરનું અહિત ઈચ્છતાં તત્વોને ખુલ્લા પાડીને દંડ પણ ફટકારશે. સમગ્ર 2024માં એવી ઘટનાઓ શહેર આપમેળે જોઈ શકશે અને ત્યારબાદ જ્યારે શનિ દેવગ્રહ ગુરુના ઘરમાં પ્રવેશ કરશે ત્યારે શહેર પ્રગતિના અનેક નવા સોપાનો સર કરી વિશ્વપટલ પર નામ અંકિત કરશે.