લગભગ બે દાયકા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચોક્કસ જ રસપ્રદ બનવા જઈ રહી છે. પરિણામ જે કંઈ આવે પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની સતત ગુજરાત વિઝિટ અને તેમના નિવેદનોની અસર હાલ તો સત્તાપક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ બંનેને ચિંતામાં મુકી રહી છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ મંગળવારે ભાવનગર પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ કાર્યક્રમ સ્થળ પૂર્વે નિલમબાગ પેલેસ પહોંચ્યા હતા અને અહીં તેમણે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. 15 થી 20 મિનિટ સુધી યુવરાજ સાથે કેજરીવાલની મુલાકાત અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
એકતરફ તેઓ ગુજરાતમાં ફરી રહ્યા હતા તો બીજીતરફ આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ટારગેટ કરતું એક ટ્વીટ કરતાં તોફાન મચી ગયું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે?” એક વર્ષમાં મુખ્યમંત્રી બદલવા સાથે બે મંત્રીઓને હટાવવાની તાજેતરની ઘટનાને ભાજપના રઘવાટ સાથે જોડી આ દાવ લેતાં રાજકીય તોફાન ઊભું થયું છે.
આપના સુપ્રીમોએ ભાવનગરની મુલાકાત દરમિયાન ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી બાબતે મહત્વની જાહેરાત કરવા સાથે ભરતી કેલેન્ડર જાહેર કરી યુવાઓ ખાસ કરીને બેરોજગાર અને નોકરી વાંછુંકોના મન જીતવાનો પ્રયાસ કર્યો છે. કેલેન્ડર જાહેર કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નોકરીઓ તો છે પણ આપનાર કોઇ નથી. આવીજ સ્થિતિ દિલ્હીમાં હતી, પણ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નોકરી મળવા લાગી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના યુવકોને જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે.
કેજરીવાલ ભરતી કેલેન્ડર જણાવતા કેજરીવાલે કહ્યું કે, ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર, એપ્રિલમાં પોસ્ટિંગ કરાશે. મેમાં ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા કરાશે અને ટીઇટી અને ટીએટી બન્નેની પરીક્ષા મેમાં કરાશે. જુલાઈમાં પરિણામ આવી જશે. જુલાઇમાં જે શિક્ષકોને કયા જિલ્લામાં પોસ્ટિંગ જોઇએ છે તે પૂછવામાં આવશે. ઓગસ્ટમાં તમામ ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા કરાશે અને ઓક્ટોબર સુધીમાં પોસ્ટિંગ પણ આપી દેવામાં આવશે. ભાવનગરમાં યુવાઓ સાથેનો સંવાદ પણ અસરદાર રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.