જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ગુરુવારે 35 વર્ષીય કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાને લઈને તણાવ વધી ગયો છે. રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં શુક્રવારે વડાપ્રધાનના રોજગાર સર્જન કાર્યક્રમ હેઠળ કાર્યરત 350 કાશ્મીરી પંડિતોએ એલજીને સામૂહિક રાજીનામું મોકલી આપ્યું છે. રાહુલ ભટને ગુરુવારે બડગામ જિલ્લામાં એક સરકારી ઓફિસમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. ત્યારથી ઘાટીમાં ભારે તણાવનું વાતાવરણ છે. લશ્કર સાથે જોડાયેલા સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે ખાસ શરૂ કરાયેલ રોજગાર કાર્યક્રમ હેઠળ રાહુલ ભટ્ટને નોકરી મળી હતી. તે ચદૂરા ખાતે આવેલી તહસીલ ઓફિસમાં કામ કરતો હતો. ગોળી વાગ્યા બાદ, રાહુલ ભટ્ટને તાત્કાલિક શ્રીનગરની SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે તેની ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:30 વાગ્યે, લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ તહસીલ ઓફિસમાં ઘૂસ્યા અને ભારે ભીડ વચ્ચે તેમને શોધીને રાહુલ ભટ્ટને ગોળી મારી દીધી અને પછી સ્થળ પરથી ભાગી ગયા.
રાહુલ ભટ્ટ બડગામ જિલ્લાની વિસ્થાપિત કોલોનીમાં રહેતો હતો અને છેલ્લા આઠ વર્ષથી ત્યાં કામ કરતો હતો. રાહુલ ભટ્ટના પરિવારમાં તેમની પત્ની, તેમનો પાંચ વર્ષનો પુત્ર અને પોલીસમાંથી નિવૃત્ત થયેલા પિતા છે.