પશુપાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કાર્ય બદલ રાજ્યની કામધેનુ યુનિવર્સિટીને “રાષ્ટ્રીય ભારત પશુ સ્વાસ્થ્ય-2022 એવોર્ડ” એનાયત થયો છે. કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સહયોગથી તેમજ ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હી ખાતે પ્રથમ જ વખત બે દિવસીય ‘ભારતીય પશુ સ્વાસ્થ્ય સમિટ-2022’નું આયોજન થયું હતું. આ સમિટમાં કામધેનુ યુનિવર્સિટીએ દિલ્હી ખાતે આ અવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ડૉ. એસ. પી. સિંહ બધેલની ઉપસ્થિતીમાં આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કામધેનુ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર કર્યો હતો. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા પશુપાલન ક્ષેત્રે કરવામાં આવી રહેલા ઉમદા કાર્ય થકી “એનિમલ હેલ્થ એવોર્ડ-2022” મેળવવા બદલ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે વિસ્તરણ ક્ષેત્રનાં પ્રયાસોને બિરદાવી કામધેનુ યુનિવર્સિટીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પશુ સ્વાસ્થ્ય સંલગ્ન ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપતી દેશની વિવિધ સંસ્થાઓને પણ સમારોહમાં પુરસ્કૃત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઢબ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપવા બદલ “લિડરશીપ ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ-2022” એનાયત થયો છે. સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલા ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલ તેમજ ડૉ. આર. એસ. ઘાસુરા પણ નવી દિલ્હી ઉપસ્થિત રહ્યા હતા.