લાંબા સમયથી ચર્ચા છતાંય એક યા બીજા કારણોસર અટકતાં જંત્રીના રિવાઈઝ દરની ચર્ચાઓએ ફરી એકવખત જોર પકડતાં કડકડતી ઠંડીમાં રિઅલ એસ્ટેટમાં ગરમાટો આવી ગયો છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રિયલ એસ્ટટ માર્કેટ પણ ખૂબ વિકસ્યુ છે. જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લે 2011માં જમીનની જંત્રી વધારાઈ હતી.
ત્રણેક વર્ષથી જંત્રીનો દર આજે વધે કે કાલે એવી વાતો થોડા થોડા સમયે વહેતી થતી હતી. જોકે, લોકહિતમાં ત્રણ વર્ષ દરમિયાનના પ્રતિકૂળ સંજોગોમાં એ નિર્ણય લેવો સહેલો પણ ન હતો. હવે સરકારી ઉચ્ચ સ્તરીય સૂત્રોનું માનવામાં આવે તો જંત્રીના નવા ભાવ અમલમાં મૂકવાની તૈયારીઓ લગભગ આટોપી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, બજારભાવ 1400 ગણા થઈ ચૂક્યા છે, પરંતુ જંત્રીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગુજરાતમાં જમીનના કુલ 9.9 ટકા જંત્રી મુલ્યને સ્ટેમ્પ ડયુટી તરીકે ગણવામાં આવે છે અને જમીનના સ્થાનાંતરણ સામે તે વસુલવામાં આવે છે. શહેરી વિસ્તારમાં બિનખેતી ઉપયોગ માટે જમીન સ્થાનાંતરિત કરવા માટે , જમીનના જંત્રી મૂલ્યના 40 ટકા દરે ગણાય છે, જ્યારે કૃષિ ઉપયોગ માટે જમીનના સ્થાનાંતરણ માટે શહેરી વિસ્તારોમાં 25 ટકા જંત્રી મુલ્ય છે. આમ આ ફેરફારો થયા અને જંત્રીના ભાવમાં વધારો થયો તો મકાનોના ભાવો ઉંચકાઈ શકે છે. એટલે જેઓ મકાન લેવા માટે રાહ જોઈ રહ્યા છે એમના માટે આ ઉત્તમ સમય છે. સરકારે જંત્રીના દરો વધાર્યો તો મકાનોના ભાવોમાં વધારો થશે એ નક્કી છે.
જાણકારોનું કહેવું છે કે, મિલકતની લે-વેચ માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે અને આ ડ્યૂટી સરકારે નક્કી કરેલી જંત્રીના દરના આધારે નક્કી થાય છે સરકાર જંત્રીના દરમાં વધારો કરે તો, સ્વભાવિકપણે સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં વધારો થશે. જંત્રીના દરમાં 2008માં વધારો થયો હતો અને ત્યારબાદ 2011માં આ દર રિવાઈઝ કરાયા હતા. આ વાતને 10 વર્ષ થઈ ગયા છે આ 10 વર્ષમાં આ ક્ષેત્રે રાજ્યભરમાં વિકાસ ધમધમતો થયો છે.
તમને એ પણ જણાવી દઇએ કે, જંત્રી નક્કી કરવા વિવિધ પરિબળને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટી વગેરે. આ ઉપરાંત પ્રોપર્ટીની બજાર કિંમત પણ તેમાં ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ મિલકતો માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ નામી શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.