સ્થાનકવાસી તિથિ પંચાંગ પ્રમાણે જૈનોની ચૈત્ર માસની આયંબિલ ઓળી પ્રારંભ ચૈત્ર સુદ સાતમ,7/4/2022,ગુરુવારના રોજ થાય છે. ચૈત્ર સુદ પૂનમ,15/4/2022 શુક્રવારના રોજ આયંબિલ ઓળીની પૂણોહૂતિ થાય છે. ઉપાશ્રયોમાં આ સમયમાં સિદ્ધચક્રના નવપદની આરાધના કરવામાં આવે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે ઉપાશ્રયોમાં આયંબિલ ઓળી માટે અનેરો ધાર્મિક હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે.
જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે.અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી. એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના.
સળંગ નવ દિવસ આયંબિલ થઇ શકતી હોય તો તે શ્રેષ્ઠ છે,પરંતુ કોઇ કારણોસર શક્ય ન હોય તો છૂટક – છૂટક પણ આયંબિલ કરી શકાય છે જેનાથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે.અમુક આત્માઓ નવ દિવસ મૌન સાથે પણ આયંબિલ તપની આરાધના કરતાં હોય છે.આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં… જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે… ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં… જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે… આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે. આયંબિલ ઓળીમાં નવ દિવસ સુધી નમો અરિહંતાણ પદથી લઇ નમો લોએ સવ્વસાહૂણં સાથે સમ્યક્ દશેન,જ્ઞાન,ચારિત્ર અને તપ સહિત નવ પદની આરાધના કરવાની હોય છે.
જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.
જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ – નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસો માસમાં આવે છે. આ તપ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે. તપ એ તો કર્મ નિર્જરા કરવાનુ ઉત્તમોત્તમ સાધન છે એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીરે કહ્યું છે કે ક્રોડો ભવના બાંધેલા કર્મો તપથી નિર્જરી અને ખરી જાય છે.
જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –
યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…
ઓળી કરનાર ભાઇ – બહેનો માટે નમ્ર સુચન
- આ દિવસોમાં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરવો અને વિકથા કરવી નહી.
- આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવવો તથા બની શકે તેટલી `અ-મારી’ પળાવવી.
- દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખવો.
- પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસોમાં મન, વચન, અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્ય પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહિ.
- જતા-આવતાં ઇર્યાસમિતિનો ખાસ ઉપયોગ રાખવો.
- કોઇ પણ ચીજ લેતાં-મૂકતાં કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પુંજવા-પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો.
- થુંક, બળખો, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવો. તેથી પણ જીવરક્ષા સારી થઇ શકે છે.
- પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે ક્રિયા કરતાં, ગુણણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, સ્થંડિલ, માત્રુ કરવા જતાં બોલવું નહિ.
- આયંબિલ કરતી વખતે આહાર ભાવતો હોય કે ના હોય તેના ઉપર રાગદ્વેષ કરવો નહિ. વાપરતા
સુર સુર’
ચળ ચળ’ શબ્દ નહિં કરતા એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપયોગપૂર્વક જમવું. - ચૌદ નિયમો હંમેશ ધારવા ઉપયોગ રાખવો.
- પાણી પીધા પછી પ્યાલો તુરત જ લૂછી નાંખવો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ચ્છિમ જીવોની ઉપ્તતિ થાય છે.
- થાળી વાટકા વગેરે તમામ વાસણો નામ વિનાનાં તથા વસ્ત્રાે ધોયેલાં વાપરવાં, સાંધેલાં-ફાટેલાં ન વાપરવાં.
- ભાણાં માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેનો ખાસ ઉપયોગ રાખવો.
- નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉંચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખવો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણ ઉપર જેમ તેમ મૂકી દેવાથી આશાતના થાય છે.
- દરેક ક્રિયા ઉભા ઉભા પ્રમાદ રહિતપણે કરવી.