સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદનું આયોજન થયું હતું. મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજીત આ અતિભવ્ય પરિષદ સમારોહમાં, 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પરિષદને તાળીઓના સતત ગડગડાટ વચ્ચે સંબોધી હતી.
રિયાધ ખાતે આયોજીત આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર હતો – વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ. આંતરધર્મ સંવાદિતા પરિષદમાં વિશ્વભરમાંથી ઉપસ્થિત ધર્મગુરુઓ વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવતા ઉપસ્થિત હતા.
પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ પોતાના વક્તવ્યમાં ઉદ્દાત મૂલ્યોને દૃઢાવતા કહ્યું ,” ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા કટિબદ્ધ થઈએ .”
હિંદુ ધર્મના પ્રતિનિધિરૂપે, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના પ્રભાવક ઉદબોધન અને પ્રેરણાત્મક સંદેશને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, મહામહિમ ડો .મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઈસા અને અન્ય તમામ વૈશ્વિક ધર્મ પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેતા તેની એક અદભૂત વિચારધારા તરીકે નોંધ લેવામાં આવી હતી.
ગલ્ફ પ્રદેશમાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાના આંદોલનોને પ્રસારિત કરનાર આ આંતરધર્મીય પરિષદમાં, સાઉદી અરેબિયામાં સૌપ્રથમવાર આમંત્રિત હિંદુ ધર્મના પ્રતિનિધિઓમાં , બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને સન્માન મળતાં વિશ્વભરના હિંદૂ ધર્મના ચાહકોમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.