આવકવેરા વિભાગે દાયકા જુના એસેસમેન્ટ કેસો ફરી ઉખેડવાનું શરૂ કર્યું છે. કરદાતાઓને નોટીસ મળતાં હોબાળો મચી ગયો છે. ર021-22થી અમલી નવા નિયમ હેઠળ આવકવેરા વિભાગે આ નોટીસો મોકલી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટીસોથી વર્ષો જુની કરચોરી અંતર્ગત ખુલાસા માંગવામાં આવી રહ્યા છે.
આવકવેરા વિભાગના સુત્રોનું કહેવું છે કે, જુના એસેસમેન્ટના કેસ રી-ઓપન કરવાની પ્રક્રિયા સાથે કરદાતાઓને નોટીસો પણ મળવા લાગી છે. ‘ઇનસાઇટ પોર્ટલ’ પરથી માહિતીના આધારે આ નોટીસો ઇસ્યુ થઈ રહી છે. ઇનસાઇટ પોર્ટલમાં આંકડાકીય વિગતોનો ઢગલો છે અને તેમાંથી કરચોરીની વિગતો ખુલ્લી પડી જતી હોવાથી કરદાતાઓના જુના કારનામાઓ પણ બહાર આવવા લાગ્યા છે અને તેના આધારે જુના એસેસમેન્ટ રી-ઓપન કરીને નોટીસો ફટકારાઈ રહી છે.
ભુતકાળમાં આવકવેરા વિભાગના કરદાતાઓએ કોઇ ચોકકસ વર્ષમાં કરચોરી કરી હોવાની આંકડાકીય માહિતી મળે તો જ કેસ રી-ઓપન કરવામાં આવતા હતા પરંતુ નવા ઇનસાઇટ પોર્ટલના આધારે સરળતાથી કરચોરીની વિગતો મળી રહી છે. તેના આધારે નોટીસો ઇસ્યુ થવા લાગતા કરદાતાઓમાં હોબાળો છે. સુરત-અમદાવાદ સહિત દેશભરમાં કરદાતાઓને આ પ્રકારની સેંકડો નોટીસો મળી હોવાનું જાણવા મળે છે.