ઈન સર્વિસ આયુર્વેદ ડોક્ટર ફોરમના નેજાં હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી આયુર્વેદ તબીબોએ સરકાર સામે વિરોધ નોંધાવતા કાળી પટ્ટી પહેરી ફરજ બજાવવામાં આવી હતી. નેશનલ ડોક્ટર્સ ડે ના દિવસથી શરૂ થયેલી આ લડતમાં તા. 7 મી સુધી સિલસિલાબંધ કાર્યક્રમો આપવા છતાય નિવેડો ન આવે તો ઉપવાસ અને સત્યાગ્રહ શરૂ કરવાની ચિમકી આપવામાં આવી છે. આયુષ તબીબોએ આજે લડત પૂર્વે દર્દભરી અપીલ કરતાં જણાવ્યું હતું કે માનની વડાપ્રધાન મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આયુર્વેદના પ્રખર હિમાયતી છે છતાંય ગુજરાત સરકાર ફક્ત વાયદાઓ કરી આયુર્વેદ તબીબોના સાતમા પગાર પંચ મુજબ NPPA આપવાથી બાકાત રાખે એ ક્યાંનો ન્યાય કહેવાય.
વૈદ પંચકર્મ અને વર્ગ-1 એસોસિયેશન, મેડિકલ ઓફિસર આયુર્વેદ એસોસિએશન, ગુજરાત આયુર્વેદ કોલેજ ટીચર્સ એસોસિએશન, ઈએસઆઈએસ ડોક્ટર્સ-આયુષ એસોસિએશન, ગુજરાત હોમિયોપેથી મેડિકલ ઓફિસર્સ એસોસિએશન તેમજ રિટાયર્ડ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન જેવી સંસ્થાઓના સંયુ્કત નેતા હેઠળ નિર્મિત ઈન ઈન સર્વિસ આયુર્વેદ ડોક્ટર ફોરમ ગુજરાત રાજ્યના આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં સરકારી આયુર્વેદ તબીબો દ્વારા સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીને સંબોધી રજૂઆત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારમાં આયુષ વિભાગના તબીબી અધિકારીઓને એલોપેથીક તબીબી અધિકારીઓની માફક તમામ હક અને લાભ સમાન ધોરણે આપવામાં આવે છે, નામદાર સુપ્રીમ કોર્ટૈ પણ વખતોવખત ચૂકાદાઓમાં આયુષ વિભાગના તબીબી અધિકારીઓને એલોપેથીક તબીબી અધિકારીઓની માફક સમાન પગારધોરણ ભથ્થાં અને અન્ય હક આપવા તાકીદ કરી જ છે.
ગુજરાત સરકાર તેમની સાથેના ભેદભાવો દુર કરી તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ ઝડપભેર લાવી આયુષ ચિકિત્સાનું પણ યોગ્ય સન્માન કરે તેવી ફોરમ વતી અપીલ પણ કરવામાં આવી છે. પગારધોરણ, બઢતી. વય નિવૃત્તિ મર્યાદા સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આજે કાળી પટ્ટી ધારણ કરી શરૂ થયેલા વિરોધ બાદ આવતીકાલે કાળા કપડા ધારણ કરી સોશિયલ મિડીયા પર સુત્રો સાથે ફોટોગ્રાફ અપલોડ કરી લોકજાગૃતિ થશે. તા. 4 જુલાઈએ આ કડીમાં તમામ આયુષ તબીબો નોકરીના સ્થળે, નજીકની આયુષ હોસ્પિટલ કે જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ પેન ડાઉન કરશે તેમજ રામધૂન અને હનુમાન ચાલીસા કરી સોશિયલ મિડીયા પર અપલોડ કરાશે્.એ જ કડીમાં તા. 5 જુલાઈએ જિલ્લા કલેક્ટર કે મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે અને એ દિવસે કામનો બહિષ્કાર કરવાનું પણ નક્કી થયું છે. ત્યારબાદ 6 જુલાઈએ ગાંધીનગર ખાતે પહોંચી મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ તેમજ સચિવને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તા. 7મીના ગુરુવારે ગાંધીનગર સ્થિત નિયામક, આયુષ કચેરી ખાતે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ તેમજ સત્યાગ્રહ આંદોલન કરવામાં આવશે ત્યારબાદ પણ જો સરકાર તેમની ન સાંભળે તો શુક્રવાર તા. 8 જુલાઈથી NPPAનો ઠરાવ ન થાય ત્યાં સુધી ઉપવાસ અને સત્યાગ્રહ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.