ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે ઊભી છે અને આચારસંહિતા લાગૂ થાય એ પૂર્વે લોકોના કામ માટે હોડ લાગી છે. લોકો સુધી પહોંચવાની આ છેલ્લી ઘડીની કવાયત ખૂબ ઉપયોગી માનવામાં આવતી હોય છે પરંતુ આ દોડધામ વચ્ચે ઉત્સાહના અતિરેકમાં કોઈ મોટા સમુહની લાગણી ન દુભાઈ જાય એ જોવું સૌથી મહત્વનું છે. લિંબાયતમાં ખાસ્સા સમયથી વિવાદાસ્પદ સાબિત થયેલા એક હોદ્દાદારની એક હરકતથી ભાજપમાં નીચું જોણું થયું હોવાની વિગતો સાંપડી છે. એક હોદ્દેદારે પગરખાં સાથે પૂજાવિધી અને ખાતમુહર્તમાં ભાગ લેતાં લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.
અતિ સંવેદનશીલ એવા લિંબાયત વિસ્તારમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક વાયરસ મેસેજ મુજબ ભાજપમાં લઘુમતિ મોરચામાં મહામંત્રીનો હોદ્દો ધરાવતાં વિવાદાસ્પદ કાર્યકરે જે ફોટા પડાવ્યા છે એ વિસ્તારની હિન્દુ પ્રજા માટે શરમજનક સાબીત થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લિંબાયતના સરદારનગરમાં ડ્રેનેજનું ખાતમૂહુર્ત હતું. આ માટે આયોજિત કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિ હતી. એવામાં પગરખા પહેરીને લઘુમતિ મોરચાના મહામંત્રીનો હોદ્દો સંભાળતા એક મહાશયે પૂજામાં ભાગ લેતાં સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો છે. આ ભાજપના હોદ્દેદારે શ્રીફળ પણ પગરખાં પહેરીને વધેર્યું હતું અને કોઈ એ સમયે તેને રોકી પણ ન શક્યું એ શરમજનક છે ત્યારે હવે આ નહીં ચલાવી લેવાશેના આક્રોશ સાથે વિસ્તારમાં સમગ્ર હિન્દુ પ્રજાની લાગણી દુભાવવામાં આવી હોવાનો મત વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર ઠાલવવામાં આવી રહ્યો છે. ધર્મના અપમાન સામે લિંબાયતમાં આ અંગે કોઈ નવાજૂની સર્જાય એ રીતની હવા જોવા મળી રહી છે.