કલોલના ડિંગુચામાં રહેતા ગુજરાતી દંપતી અને તેમના બે બાળકોના મોત બાદ શરૂ થયેલી તપાસમાં એક પછી એક ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. અમેરિકા-કેનેડા તેમજ ગુજરાત પોલીસની સ્પેશિયલ ટીમ પ્રકરણમાં મોટી તપાસ તરફ આગળ વધી રહી છે. માફિયાઓના હાથે જીંદગી દોઝખ બની રહે એ હદે મોહમાં ફસાઈ જવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં પોલીસ નજીકના ભવિષ્યમાં એજન્ટના નેટવર્કનો મોટો ખુલાસો કરી શકે છે. તપાસ વચ્ચે ચોંકાવનારી બાબત એ છે કે હજી 136 જેટલા ગુજરાતીઓ લાપતા છે. ડર એ વાતનો છે કે, તેમનું અપહરણ કરી યાતનાઓ પહોંચાડવામાં આવી રહી હશે.
સ્ટેટ પોલીસના ઉચ્ચ સ્તરીય સુત્રોના દાવા અનુસાર, ડિંગુચાના પરિવારની કેનેડાની સરહદેથી ઘૂસણખોરી કરતા બાળક સહિત ચાર લોકો કાતિલ ઠંડીમાં થીજી જવાની કરૂણાંતિકા બહાર આવ્યા બાદ ગેરકાયદે ઘૂસણખોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઘટનાક્રમ બાદ અમેરિકાએ ગુજરાતીઓની ગેરકાયદે ઘૂસણખોરી તથા તેમાં એજન્ટ નેટવર્કની કડીઓ ખંગોળવાનું શરૂ કરતાં એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ તરફ તપાસને દોરી રહી છે. ગુજરાતની માનવ તસ્કરી વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સાંપડી છે કે, ગેરકાયદે સરહદ પાર કરવાની લેભાગુ એજન્ટોની વાતોમાં આવી ગયા બાદ હજી 136 ગુજરાતીઓ ‘લાપતા’ છે.
અમેરિકા અને કેનેડા પોલીસ સાથે સંપર્કમાં રહી તપાસકર્તા આ સૂત્રોએ વધુમાં જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં તુર્કી માર્ગે અમેરિકામાં ઘુસવા મથતા કલોલના બે ગુજરાતી દંપતિ બે બાળકો સાથે લાપતા બન્યાની તપાસ દરમિયાન એવી હકીકતો સાંપડી હતી કે, અન્ય 18 ગુજરાતીઓની ઈસ્તમબુલ પહોંચ્યા બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ 18 લોકોના છુટકારા માટે તેમના પરિવાર પાસે લાખોની રકમમાં ખંડણી માંગવામાં આવી હોવાનું પણ તપાસમાં ખુલતાં પોલીસ ચોંકી ઊઠી છે.
તપાસનીશ અધિકારીઓને તો હવે એવી પણ શંકા છે કે ગાંધીનગર, મહેસાણા તેમજ અમદાવાદના 37 પરિવારોના 136 સભ્યો લાપતા છે. આ લોકો એજન્ટની સલાહ તેમજ ખાત્રી પર વિશ્વાસ રાખી તુર્કીના રસ્તે અમેરિકા ઘુસવા ગયા હતા. કલોલના છ લાપતા લોકોની તપાસમાં એવું ખુલ્યુ છે કે આ સંખ્યા તો મામુલી છે. લગભગ 136 લોકો આ રીતે લાપતા છે અથવા ખંડણીના ઈરાદે અપહરણ થયું છે. આ ત્રણ જીલ્લાના 37 પરિવારો 10થી 20 જાન્યુઆરી વચ્ચે ઈસ્તમબુલ પહોંચ્યા હતા.
આ પરિવારો એજન્ટ નેટવર્ક પર વિશ્વાસ મુકીને ત્યાં પહોંચ્યા હતા. હકીકતમાં એજન્ટો તુર્કીના અધિકારીઓ તથા માફીયાઓ સાથે કનેકશન ધરાવતા હોય છે. કાનુની દસ્તાવેજો વિના અમેરિકા ઘુસવા તુર્કીનો રસ્તો અપનાવાતો હોય છે, તુર્કીથી બોગસ પાસપોર્ટ મારફત લોકોને મેક્સિકો મોકલવામાં આવે છે. મેક્સિકોના એજન્ટો અમેરિકામાં ઘુસાડે છે. આ દરમિયાન ઘણાં કિસ્સાઓમાં માફીયાઓનો સામનો પણ થાય છે.
ગૂમસુદા પૈકી અમુક પરિવારના સભ્યોને બે થી પાંચ લાખ રૂ.ની ખંડણીના ફોન આવ્યા હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી રહી છે જોકે, તેઓ પોલીસ પાસે પહોંચતા ગભરાય છે. અપહત પરિવારોને માફીયાઓ નુકશાન કરે તેવા ભયથી પોલીસ ફરિયાદ નથી થતી. સૂત્રોએ કહ્યું કે તુર્કીમાં ગુજરાતીઓને 3થી 6 મહિના ભાડાની જગ્યામાં રખાય છે. મેકસિકોના એજન્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળે તો જ તેમને એ દિશામાં આગળ વધારવામાં આવે છે.