કોરોનાનો સામનો હવે હર્ડ ઈમ્યુનીટી નહી હાઈબ્રીડ ઈમ્યુનીટી પર કરવો પડશે. વિશ્વમાં કોરોના વાયરસનો ‘હાઉ’ હવે ઝડપથી ઘટી રહ્યો છે. અનેક દેશોએ તો હવે કોરોનાને મહામારી જ નહી કોઈ રોગચાળો ગણવાનો પણ ઈન્કાર કરી સામાન્ય તાવ, શરદી ગણવાનો નિર્ણય જાહેર કર્યો છે. થોડી દવા થોડી બોડી ઈમ્યુનીટીથી સ્વસ્થ થઈ જવાશે તે વિશ્વાસ સાથે દુનિયા જે રીતે આગળ વધી રહી છે તે વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને ફરી ચેતવણી આપી છે કે, કોરોના ગયો કે તે સામાન્ય રોગચાળો બની ગયો છે તેવી અસાવધાની નહી રાખવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કમ સે કમ કોરોના સંદર્ભે તો હર્ડ ઈમ્યુનીટી પર આધાર રાખતા જ નહી.
આરોગ્ય સંગઠનના ચીફ સાયન્ટીસ્ટ ઓફિસર ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, નવો જે વેરીએન્ટ જેને ઓમીક્રોન સબવેરીએન્ટ તરીકે ગણવામાં આવે છે અથવા તો બીએટુ એ તેના પુરોગામી બીએ.1 કરતા વધુ સંક્રમીત કરવાની ક્ષમતા ધરાવે છે અને વિશ્વના કેટલાક દેશો તેની ઝપેટમાં આવી જ ગયા છે. હજું તેના પર વધુ અભ્યાસ જારી છે. જેમાં તેનો અગાઉ કોવિડના સંક્રમણનો ભાગ બની ચૂકયા છે તેને રીઈન્ફેકશન કરી શકે છે કે કેમ. જેઓ આ વેરીએન્ટથી સ્વસ્થ થયા છે તેઓને લોહીની તપાસ અને અગાઉના ડેલ્ટાથી જેઓ સંક્રમીત થયા છે તેના લોહીની સાથેનો અભ્યાસ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં આ બીએટુ વેરીએન્ટ કઈ રીતે અસર કરશે તે નોંધાઈ રહ્યું છે.
તેમણે આ નવા વેરીએન્ટ પર વેકસીનના પ્રભાવ અંગે કહ્યું કે, અમો લેબ અભ્યાસ દર્શાવે છે કે શરીરમાં જે એન્ટીબોડી બન્યા છે તે આ નવા વેરીએન્ટને નિષ્ક્રીય કે નિષ્ફળ કરી શકે તેવું અમો માનતા નથી.
તેમના જણાવ્યા મુજબ, વેકસીન આપણે જે ઉપયોગ કરીએ છીએ તે મુખ્યત્વે દર્દીના હોસ્પીટલાઈઝેશન ઘટાડે છે અને મોતનું પ્રમાણ રોકે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો જેઓએ વેકસીન લીધી છે તેઓ હવે વધુ સુરક્ષિત છે તેઓએ કહ્યું કે હર્ડ નહી હાઈબ્રીડ ઈમ્યુનીટી એ કોરોના સામે લડવામાં મહત્વની બનશે. હાઈબ્રીડ એટલે કે સંક્રમણથી જ એન્ટીબોડી અને વેક્સીનથી જે એન્ટીબોડી બન્યા છે તે સંયુક્ત રીતે કોરોના સામે લડશે અને બચાવશે. તેમણે કહ્યું વાયરસનો સ્વભાવ છે કે મ્યુટેશન સતત થાય જ છે.