બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં નડેચી માતાના સુપ્રસિદ્ધ ધામ નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. રાજ્યમાં હવેથી ભારત-પાક બોર્ડર બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડાબેટ પહોંચી નડેશ્વરી માતાના પણ દર્શન કર્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમના વિકાસમાં આ પગલું સીમાચિન્હ્ સાબિત થશે એ બેમત છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે નિયત કાર્યક્રમ અનુસાર સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ પહોંચ્યા હતા. ભારત-પાકિસ્તાનની સીમાના આ ધાર્મિક સ્થળ નડેચી માતાના મંદિર પર 40 ફૂટની ઊંચાઈ પર ગૃહમંત્રી અમિત શાહે ત્રિરંગો લહેરાવ્યો હતો. ભારત માતાના જયકારા સાથે નવમું નવરાત્ર આ રણપ્રદેશમાં અદભૂત શક્તિનું સંચાર કરતું હતું. ગૃહમંત્રી અમિત શાહે ત્યારબાદ સીમા દર્શન પ્રોજેક્ટ લોકોને અર્પણ કર્યો હતો. અમિત શાહ અને મુખ્યમંત્રીએ નડેશ્વર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો અને સહેલાણીઓ આવે છે અને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા જીરો પોઇન્ટની મુલાકાત લે છે. લોકપ્રિય આ નડાબેટને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિકાસમાં BSF અને રાજ્યના R&B વિભાગ તેમજ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનો સંયુક્ત પ્રયાસ રંગ લાવ્યો છે. સરહદના પ્રહરી એવા બી.એસ.એફ જવાનોના જીવનને સૂકા રણ પ્રદેશમાં લોકો પ્રત્યક્ષ અનુભવી શકે તેમને જાણી-સમજી શકે અને લોકોમાં દેશદાઝની ભાવના જાગૃત થાય તેવા પ્રેરણાત્મક હેતુથી સીમાદર્શન કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા શરૂ થયો છે.
સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે અનેક સુખ-સુવિધાઓ તેમજ વિશેષ આકર્ષણો નડાબેટ ખાતે જોવા મળશે.અહીં ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમત-ગમતની પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટ તૈયાર થયો છે.
સૌથી વિશેષ અહીં આકર્ષણ રહેશે વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું. જ્યાં 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.અહીં ફોટોગ્રાફી ભારતીય તરીકે ગોરવની ક્ષણ બનશે.