શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ન્યુજર્સી ‘ ના ઉપક્રમે યુક્રેનના વર્તમાન કટોકટીથી પ્રભાવિત પરિવારોને ટેકો આપવા એક લાખ લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાને આત્મસાત્ કરતી આ સૌથી મોટી મીલ પેકિંગ ઈવેન્ટ તરીકે દેશ-દુનિયામાં આ ઈવેન્ટની લાગણીસભર નોંધ લેવામાં આવી હતી.
શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC), યુએસએ એ વૈશ્વિક નોનપ્રોફિટ સંસ્થા છે. સંસ્થાના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કોમ્યુનિટી સેવા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) ના સ્થાપક આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં યુક્રેનમાં વર્તમાન કટોકટીથી પ્રભાવિત અનેક પરિવારોને ટેકો આપવા એક મહાસેવાયજ્ઞનું આયોજન થયું હતું. સંસ્થાના હજારથી વધુ સમર્પિત સ્વયંસેવકોએ એક લાખ ભોજન પેક કરવાનો સેવાશ્રમ ઉઠાવ્યો હતો.
મહાસેવાયજ્ઞની જાણ થતાં જ ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ, પાર્સિપ્પની-ટ્રોય હિલ્સ શહેરના મેયર જેમ્સ બાર્બેરિયો, ડેપ્યુટી કમિશનર ઓફ એનવાયસી મેયર દિલીપ ચૌહાણ, પ્રથમ પેઢીના યુક્રેનિયન અમેરિકન ન્યુ જર્સી યુએસએ એલેક્ઝાન્ડ્રા લખમેન સહિત મહાનુભવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિથી આ પ્રસંગમાં અનોખો શક્તિસંચાર થયો હતો.
પાર્સિપ્પની મેયર બાર્બેરિયોએ આ પ્રસંગે પોતાના મિતભાષી વક્તવ્યમાં જણાવ્યું હતું કે, તમે સમુદાયને ટેકો આપવા માટે જે સેવાયજ્ઞ કરો છો તેની સરખામણીમાં હું જે કંઈપણ કરું છું તે ઓછું છે.”
કોન્સ્યુલેટ જનરલ ન્યૂયોર્ક રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અહીંની ઉર્જા જોઈને હું ઉત્સાહિત છું. આ ઉર્જા ફક્ત અહીંના લોકોને જ નહીં, પરંતુ વિશ્વભરના લોકોને એક થવા પ્રેરે છે.”
પ્રથમ પેઢીના યુક્રેનિયન અમેરિકને એલેક્ઝાન્ડ્રા લખમને લાગણીસભર અવાજમાં કહ્યું હતું કે, “તમારી સંસ્થા યુક્રેન માટે જે સેવાયજ્ઞ કરી રહી છે તે અતિપ્રશંસનીય છે. જરૂરિયાતમંદો માટે અન્ન આપવા બદલ આભાર, અમને સૌથી વધુ આશા આપવા બદલ આભાર, જેની સૌથી વધુ જરૂર હતી તેમને મદદ કરવા બદલ આભાર.
ન્યૂ યોર્ક મેયર એરિક એડમ્સના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણએ કહ્યું કે, SRLCના સ્વયંસેવકોનું માનવતાવાદી કાર્ય સાચે જ પ્રશંસાપાત્ર અને અદ્ભુત છે. આક્રમણથી પ્રભાવિત લોકો માટે શ્રીમદ રાજચંદ્ર સંસ્થા દ્વારા લેવાયેલી સંભાળ અને પ્રેમ માટે તથા વધુ સારા, ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટેના પ્રયાસોને બિરદાવતા હું ગૌરવ અનુભવું છું. હું એરિક એડમ્સ, ન્યુ યોર્ક શહેરના મેયર, વતી 15મી જુલાઈ, 2022 ને ન્યુયોર્ક શહેરમાં “શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર ડે તરીકે જાહેર કરું છું.
તમને જણાવી દઈએ કે, શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર એ સેવા પ્રદાન કરવા અને સમાજના વંચિત વર્ગના જીવનમાં આનંદ લાવવા માટેની વૈશ્વિક પહેલ છે. આ પહેલ SRLC ફિલોસોફર અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજીથી પ્રેરિત છે. SRLCની સ્થાપના વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક નેતા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ કરી છે. SRLC યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ સાથે વિશેષ સલાહકારનો દરજ્જો ભોગવે છે. SRLCના સર્વગ્રાહી, બહુ-પાંખીય સમુદાય સમર્થન અને વિકાસ કાર્યક્રમો અસલી સહાનુભૂતિ, પ્રેમ અને અત્યંત પ્રેરિત સ્વયંસેવકોની સંભાળ દ્વારા સંચાલિત છે.