ગુજરાત ચૂંટણી પરિણામોના એક દિવસ પૂર્વે બુધવારે એ નક્કી થઈ રહ્યું છે કે, દિલ્હી કોની. ચૂંટણી પૂર્વેના અનુમાનો હતા કે ભાજપ ક્લિનસ્વીપ કરશે પરંતુ સવારે બે કલાક સુધીના પરિણામોથી એ નક્કી થઈ ચૂક્યું છે કે, અહીં સીધું અને સરળ કંઈ જ નથી. તમામ ગણતરીઓને ખોટી પાડી આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર સાચા અર્થમાં દેખાઈ રહી છે. આ પરિણામોએ સટ્ટાબજારની સવાર અંધાધૂંધ ઉથલ-પાથલથી બગાડી નાખી છે.
ગુજરાતમાં સટ્ટાબજાર જેમ-જેમ ચૂંટણીના દિવસો પસાર થતાં ગયા એમ ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યું હતું. બીજા તબક્કાના મતદાન બાદ વિવિધ ટીવીચેનલના સર્વેએ ભાજપને સરળ બહુમતિ આપ્યા બાદ તો સટ્ટાબજાર ભાજપની એકદમ ફેવરમાં જતું રહ્યું. હકીકતમાં જોઈએ તો મતદાનની ટકાવારી ઓછી થતાં સટ્ટાબજારમાં થોડો સળવળાટ થયો હતો કે રખે ને પરિણામો અનિશ્ચિત આવે, પરંતુ મીડિયા સરવે બાદ ફરી સટ્ટાબજારમાં ભાજપ તરફી વલણ મજબૂત બન્યું હતું અને સટ્ટાબજાર ભાજપને સ્પષ્ટ બહુમતી આપતું હતું જોકે, પરિણામોના એક દિવસ પહેલા ફરી સટ્ટાબજારમાં અણધાર્યો વળાંક આવતા આઈપીએલથી પણ રસપ્રદ ઉથલપાથલ જોવા મળી રહી છે.
પ્રથમ વાત એ છે કે, દિલ્હી એમસીડીના પરિણામોના તમામ એક્ઝિટ પોલ સવાર પડતાંની સાથે જ ખોટા પડતાં જણાયા. ગુજરાતમાં અગાઉ પણ કોઈ આવા એક્ઝિટ પોલ સત્યની નજીક નથી પહોંચી શક્યા ત્યારે દિલ્હી પરિણામો જેવી જ હાલત ગુજરાતમાં થઈ તો સટ્ટાબજારમાં હજારો કરોડનું ધોવાણ થઈ શકે છે. સટ્ટાબજારનું કહેવું છે કે, ગભરાટ સૌથી વધારે એટલા માટે પણ સવારથી જોવા મળી રહ્યો છે કે, દિલ્હીમાં ભાજપને આપ તરફથી ધાર્યા કરતાં વધારે સખત ફાઇટ આપી છે ત્યારે ગુજરાતમાં પણ આપ એકમાત્ર ભાજપને ફાઇટ આપી રહ્યું છે અને ધારદાર પ્રચાર બાદ અંડરકન્ટ શું ચાલી રહ્યું છે એ રાજકીય પંડિતો પણ ખૂલીને કળી વ્યક્ત કરી શકે તેમ નથી ત્યારે કાલની સવાર ઉગે એ પહેલા બુધવારની રાત સટ્ટાબજારીયાઓને ઉંઘ નથી આવવાની એ ચોક્કસ લાગી રહ્યું છે.