પાછલા ઘણા વર્ષોથી 1 મે એટલે કે ગુજરાત દિવસની ઉજવણીમાં એક ગૌરવવતું સીમાચિન્હ અંકિત થયું છે અને એ છે આ દિવસે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકોને અપાતો ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ. દરેક ગુજરાતીઓ આ વર્ષે આ એવોર્ડ કોને મળશે તેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. કે.પી. ફાઉન્ડેશન દ્વારા યોજાતા આ સન્માન સમારોહની પોતાની એક ગરિમા છે. આગવી ઓળખ સાથે આ વર્ષે ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ જે.બી. ઓડિટોરિયમ,અમદાવાદ ખાતે યોજાશે.
કે.પી. ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સમારોહ અંગેની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષનો ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ 20 વ્યક્તિઓને આપવામાં આવશે જેમાં છેલ્લો દિવસ, કેમ છો, શું થયું, અને શોર્ટ સર્કિટ થકી પ્રખ્યાત અભિનેત્રી કિંજલ રાજપ્રિયા જેવી હિરોઈન, જાણીતા મોડેલ અને એક્ટર ચેતન દહિયા કલાકાર, પ્રોડ્યુસર અને કોમેડીના બેતાજ બાદશાહ સંજય ગોરડિયા, દેવદાસ, સાંવરિયા, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી અનેક ફિલ્મોમાં પોતાના સૂરથી નામના પ્રાપ્ત પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલનો સમાવેશ થાય છે. બે દાયકા ઉપરાંતથી ભાવનગરના પક્ષીપ્રેેમી તરીકે મશહૂર હરીભાઈ શાહ, ડાંગના કરડીઆંબા ગામના આદીવાસી પરિવારમાંથી આવતી ભારતીય દોડવીર અને હાલ ગુજરાત સરકારના “બેટી બચાવો અભિયાન” માટેની બ્રાન્ડ એમ્બેસેડર સરિતા ગાયકવાડનો પણ આ વર્ષના ગુજરાત રત્ન એવોર્ડમાં સમાવેશ થાય છે. નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલના વિટ્રીઓ ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા સહિત મહાનુભવો આ સન્માન મેળવશે. 4000 બાળકોને જમવાની જવાબદારી સૂપેરે નિભાવનાર તેમનું સન્માન જયેશ પરીખને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. ડોક્ટર્સ, અલ્ટરનેટિવ મેડિસિન, આયુર્વેદ, હોમિયોપેથીમાં કોવિડ-19માં અદભૂત સેવા પ્રદાન કરનાર વ્યક્તિઓ પણ આ સમારોહમાં સન્માનીત થશે. આઈસીએસડબલ્યુના ચેરમેન દિનેશ રાવળ 3 દાયકાથી વધુ કરેલી વિવિધ સેવાઓને ખાસ બિરદાવવામાં આવશે.
ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ સમારોહમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય મુખ્ય અતિથિ પદ શોભાવશે, સન્માનીય અતિથિ તરીકે જસ્ટીશ સુરેશ સોની અને વડોદરાના વ્રજકુમારજી મહારાજશ્રી બિરાજશે. વિશેષ આમંત્રિત તરીકે પો. કમિ. અજય ચૌધરી અને ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડો. શૈલેષ ઠાકર સ્થાન શોભાવશે. કાર્યક્રમમાં અનોખું આયોજન એ પણ છે કે, ચિત્રકાર અને સર્જક પ્રવીણ પટેલના હસ્તે સર્જન સમર્પણ કાર્યક્રમ પણ યોજાશે જેમાં તેમના પુસ્તકને સ્મૃતિ-ભેટ તરીકે તમામ આગંતુકોને આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ચિત્રકાર પ્રવીણ પટેલે વિશિષ્ટ એવા130 વ્યક્તિઓને જે ચિત્રો ભેટ આપ્યા છે. આ તસ્વીરોનુ એક પુસ્તક છે. આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. પી.કે.લહેરી, ભીખુદાન ગઢવી, જોરાવરસિંહ જાદવ, અરવિંદ વેગડા, તુષાર શુક્લ જેવી નામાંકિત વ્યક્તિઓ તેમાં જોડાશે અને મંચ પરથી પુસ્તકનું અભિવાદન કરશે અને સૌને આ પુસ્તક ભેટ અપાશે.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. શૈલેષ ઠાકરે જણાવ્યું કે, વતનની માટી માટે, એટલે કે વતનની માટીની મહેર માટે કોઈકે કરવું જોઈએ, ગુજરાત એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે એ સ્વીકારાયેલું સત્ય છે, ગુજરાતી એ ખમીરવંતો જોશવંતો અને સુઝ સાથે ઝઝુમતો હોય છે પ્રુવ થયેલી બાબત છે. સમાજ એના રત્નોને ભુલી જાય તો એ સમાજ નગુણો સમાજ કહેવાય છે.કદાચ એવા જ કોઈ હેતુથી ગુજરાતી માટે, વતન માટે, માટી માટે, આ કાર્યક્રમ થતો હશે અને ખુબ લડતા જીવનની સામે લડતા ઝઝુમતા, એવા ગુજરાતીઓને બિરદાવવાનો આ કાર્યક્રમ છે.