“પોલીસ આજકાલ દારૂવાળાને છોડી વ્યાજખોરોને શોધવા લાગી છે, મારા સામે 300 કેસ હતા કેટલા…300 આ તો અત્યારસુધી ઊપર સુધી સેટિંગ હતું એટલે બહાર આવી જવાયું હમણાં દબાણમાં કામ થોડું… ” તમને એવું લાગે છે કે એક વ્યાજખોરનો આ ડર છે ? જી નહીં આ અત્યારે ચાલતી એવી પ્રેશર ટેક્ટિસ છે જેમાં વ્યાજખોરો ના કહીને વધારે વ્યાજ પડાવવાની તરકીબ અપનાવી રહ્યા છે. હકીકત એ છે કે, ઘણાબધા પીઠબળ વગર વ્યાજનો ધંધો કોઈ સામાન્ય માણસના હાથની વાત જ નથી હોતી એટલે આ ચક્ર પર નકેલ કસવી એ વાતો કરવા કરતાં અનેકગણી કઠીન છે.
રાજ્ય સરકાર દરેક કુનિતીઓ સામે કડક નિયમો તો બનાવે છે એમ વ્યાજખોરો સામે પણ છે જ, પરંતુ સામે જોઈએ તો વ્યાજખોરીનું વૃક્ષ જાણે વટવૃક્ષ બની ગયું છે. લોકોના જીવ લેતાં અને પરિવારોને તહેસનહેસ કરી નાખતાં વ્યાજના વિષ સામે સરકારનો ખરેખર કેટલો કારગત નિવડે છે એ તો સમય બતાવશે પરંતુ આ હૂંકાર ભરી તેને સહેલાઈથી કાબૂમાં લેવાનું સરકાર માટે સરળ નથી. સૌથી પહેલા તો વ્યાજખોરોનું ઈન્વોલ્વમેન્ટ અને ખૂશામતગીરી પોલીસ ખાતામાં જ એટલી હોય છે કે, જેના હાથ પર એ લોકો પર સકંજો કસવાનો ભાર મુકવામાં આવ્યો છે એ હાથ જ અહીં પાંગળા સાબિત થઈ શકે છે. ઘણાં અધિકારીઓના જ બેનંબરી પૈસા આ વ્યાજખોરોના હાથમાં રમતાં હોય છે.
ગુજરાત સરકાર દ્વારા આગામી 100 દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. એ પૂર્વે અનેક લોકો તેના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે, દરેક જીવની કિંમત કાર્યવાહી થશે તેવા દિલાસાથી વધારે સાબિત નથી થઈ અને એ જ કારણ છે કે, વ્યાજના ખપ્પરમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેવાના બોજને કારણે 512 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. વ્યાજખોરો વ્યાજનું વ્યાજ લઈને મૂળ મૂડી કરતાં અનેકઘણી રકમ પડાવી લેતા હોય છે આમ છતાં એમની મૂળ રકમ તો ઉભી જ હોય છે. આમ વ્યાજે લેનાર વ્યાજ ભરીને થાકી જાય પણ એ રૂપિયા ઘટતા નથી. આમ આખરે આત્મહત્યા કરી લે છે.
ગુજરાતમાં દેવાના બોજને લીધે આત્મહત્યા
વર્ષ પુરુષ મહિલા કુલ
2017 74 08 82
2018 65 02 67
2019 78 03 81
2020 117 07 124
2021 147 11 158
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ 2017માં 82 લોકોએ દેવાના બોજથી ત્રાસીને આત્મહત્યા કરી હતી. 2021 જ્યારે દુનિયા કોરોનાના સૌથી ભયાનક અસરની પકડમાં હતી ત્યારે આત્મહત્યાનો આંક વધીને 158 પર પહોંચી ગયો એટલે કે, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં 90 ટકાથી વધુનો ચોંકાવનારો વધારો થયો. 2021માં દેવાના બોજને લીધે આત્મહત્યા કરવાના કેસોમાં ગુજરાતનો નંબર સાતમા સ્થાન પર છે.
ગૃહ મંત્રાલયની જાહેરાત મુજબ પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ સુધી પહોંચશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. આ અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ 100 દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે. હવે તેના પરિણામો પર નજર રહેશે.