ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ ધીમે ધીમે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજય સરકારે વિકાસ યાત્રા સહિતના તમામ કાર્યક્રમોમાં મહાનગરો, જિલ્લાઓ, તાલુકા કક્ષાએ પણ ભાગ લેવા લોકોએ વેકસીનના બે ડોઝ ફરજિયાત લીધા હોવાની ચકાસણી કરવા સૂચનાઓ આપતા આરોગ્ય વિભાગો સચેત થયા છે.
સુરત સહિત ગુજરાતના કોઇ શહેરોમાં આવા કાર્યક્રમોમાં વેક્સિન સર્ટિફિકેટ અત્યાર સુધી તો ચકાસાઈ રહ્યા નથી ની ચકાસણી શરૂ થઇ નથી પરંતુ હવે તમામ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા નેતાઓ, આયોજકો અને તેમાં જોડાનારા નાગરિકોએ વેકસીનના બે ડોઝ લીધા હોય તેની ચકાસણી કરવા રાજયના આરોગ્ય વિભાગે સૂચનાઓ મોકલી છે. વંદે ગુજરાત યાત્રામાં પણ તેનો અમલ થાય એવી શકયતા છે. જોકે આ સુચનાના અમલ અંગે જાણકારોમાં પ્રશ્નાર્થ સેવાઈ રહ્યા છે, તો સૌથી મહત્વની બાબત એ છે કે માસ્ક અંગે હજી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો.
ત્રીજી લહેર બાદ કોરોના ઘાતક રહ્યો નથી તેવું જનમાનસ ધારી રહ્યું છે, પરંતુ ચોથી લહેર આવે તો લોકો ઘર બહાર નીકળતા પણ ડરે તેવું બની શકે છે. મોટા ભાગના લોકો બે ડોઝથી સુરક્ષીત બન્યા છે. હર્ડ ઇમ્યુનિટી પણ આવી ગયાનું આરોગ્ય વિભાગ માને છે. પરંતુ રાજકીય સહિતના જાહેર કાર્યક્રમો પર લગામની વાતથી સરકાર નિયમો સાથે લોકોને આડકતરી રીતે એલર્ટ કરવા લાગી છે. આરોગ્ય ખાતું તેના અમલીકરણ માટે સજ્જ થઈ રહ્યું છે.