હાલ ખેતરોમાં જોવા મળતી પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ(ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે સુરતની ખેતીવાડી શાખા માંથી ખેડૂતો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકા અનુસાર ખેતરમાં ૧ પ્રકાશ પિંજર અથવા નર ફૂદાને આકર્ષવા ૫૦ ફેરોમોન ટ્રેપ/ હેકટરે ગોઠવવા તથા તેની લ્યુર દર ૪૦ દિવસે બદલવી.,ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબલ્યુજી (૧૦૮ સીએફયુ/ગ્રામ) ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેઝીયાના (૨x ૧૦૮ સીએફયુ/ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ભૂંગળી ભીંજાય તેમ છંટકાવ કરવો.
ઉપદ્રવની શરૂઆતમાં રેતી અથવા માટી ૫ ગ્રામ પ્રતિ છોડ ભૂંગળીમાં નાંખવી અથવા વિષપ્રલોભિકા (૨૫ કિગ્રા ડાંગરની કુશકી/મકાઈનું ભુસુ + ૫ કિગ્રા ગોળ + ૫ લિટર પાણી + ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી/ ૧૨૫ ગ્રામ એમામેકટીન બેનઝોએટ) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૨૦ કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવી અને તેના ૧૫ દિવસ બાદ આ પૈકી કોઈપણ એક માવજત ફરીથી આપવી. પાકની લણણી અને છેલ્લા છંટકાવ વચ્ચે ૧૫ દિવસનો સમયગાળો રાખવો., ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સ્પાઇનોટેરામ ૧૧.૭ ઇસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાાં ભેળવી છોડ ભીંજાય તે રીતે છાંટકાવ કરવો.
જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરત જિલ્લા પંચાયત દ્વારા આ અંગે વધુમાં જણાવ્યા મુજબ, ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી., રાસાયણિક કીટનાશકનાં છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૫ દિવસનો સમયગાળો જાળવવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલિ (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિલિ (૫% ઈસી)થી ૫૦ મિલિ (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.