જમ્મુ-કાશ્મીર સરકારે બિટ્ટા કરાટેની પત્ની સહિત 4 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ અનુસાર આ ચારેયને આતંકવાદી સંબંધોના કારણે સેવામાંથી હટાવી દેવામાં આવ્યા છે. એ સૌ જાણે છે કે બિટ્ટા કરાટે આતંકવાદ સંબંધિત આરોપોનો સામનો કરી રહ્યા છે. તે કાશ્મીરી પંડિતોની હત્યા કેસમાં પણ આરોપી છે.
ઉલ્લેખનીય છે કે, 1990માં 1 લાખથી વધુ કાશ્મીરી પંડિતોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી. તેમને રાતોરાત બેઘર કરી દેવાયા હતા. કાશ્મીરમાં લોકોને મારવાનું અને ગભરાટ ફેલાવવાનું કામ 1989થી શરૂ થયું હતું. બિટ્ટા કરાટે ઉર્ફે ફારૂક અહેમદ ડાર તે સમયે ઘાટીમાં દહેશતનું બીજું નામ બની ગયો હતો. તે કાશ્મીરી પંડિતોને શોધીને મારી નાખતો હતો.
એક ઈન્ટરવ્યુમાં બિટ્ટાએ કહ્યું હતું કે તેણે પહેલા સતીશનું ખુન કર્યું હતું. બિટ્ટાએ એમ પણ કહ્યું હતું કે તે પિસ્તોલથી હત્યા કરતો હતો. ઘણીવાર એકલા જ હત્યા કરતો હતો અને માસ્ક પહેરતો ન હતો. ત્યાંના લોકો તેને ટેકો આપતા હતા. તેણે કેમેરામાં કબૂલ્યું હતું કે તેણે JKLF નેતાઓના આદેશ પર 20 પંડિતોની હત્યા કરી હતી. જોકે, બાદમાં કરાટેએ આ વાતને નકારી કાઢીને કહ્યું કે તેણે દબાણમાં આ નિવેદન આપ્યું હતું.