દેશમાં 45 લાખથી વધુ પરિવારો પાસે બે રેશન કાર્ડ છે. આ પૈકી એકલા ગુજરાતમાં 1,53,459 રેશનકાર્ડ ધારક પરિવારો છે.કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી વન નેશન વન રેશન કાર્ડ યોજનાના અમલીકરણને કારણે આ માહિતી બહાર આવી છે. અત્યાર સુધીમાં 45 લાખ 80 હજાર 187 પરિવારો મળી આવ્યા છે. જેઓના દેશમાં બે રાશન કાર્ડ ચાલી રહ્યા છે
આધાર પ્રમાણીકરણ પછી બે રેશનકાર્ડ હોવાની માહિતી મળ્યા બાદ વહીવટીતંત્ર પરિવારોને પૂછી રહ્યું છે કે તેઓ કયું રેશનકાર્ડ આગળ ચલાવવા માગે છે. બીજું રેશનકાર્ડ રદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે, ડબલ રેશનકાર્ડનો મુદ્દો સામે આવ્યા પછી, સરકારે કડક વલણ અપનાવ્યું છે અને કાર્ડના તમામ સભ્યો માટે 30 જૂન સુધીમાં આધાર ઇ-કેવાયસી કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. દરેક સભ્યનું આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે, નહીં તો ગ્રાહકો રાશન માટે અયોગ્ય રહેશે.
નોંધનીય છે કે વન નેશન વન કાર્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં રેશનની દુકાનો અને કાર્ડ ધારકોને NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) સર્વર સાથે લિંક કર્યા છે. આ સાથે આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા બાદ બે રેશનકાર્ડના રેકોર્ડની તપાસ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 9 ઓગસ્ટ, 2020ના રોજ વન નેશન વન રેશન કાર્ડ યોજના શરૂ કરી હતી. આ હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ તેમની પસંદગીની કોઈપણ ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ (e-POS)થી સજ્જ રેશન શોપમાંથી સબસિડીયુક્ત અનાજ મેળવી શકે છે. આ માટે તેઓએ તેમના હાલના રેશન કાર્ડનો ઉપયોગ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સાથે કરવાનો રહેશે. દરેક રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવી રહ્યું છે.