ચૂંટણીના ધમાસાણ વચ્ચે હવે ‘કચરાની રાજનીતિ’ પર હંગામો શરૂ થયો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર પહોંચવાના હતા જોકે, તેમની મુલાકાત પહેલા ભાજપના કાર્યકરો સ્થળ પર પહોંચીને વિરોધ પ્રદર્શન અને જબરદસ્ત સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.
સીએમ કેજરીવાલે એક દિવસ પૂર્વે જ ગાઝીપુર લેન્ડફિલ સાઇટની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મેં તેમના (ભાજપ) એક નેતાને પૂછ્યું – તમે 15 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું કામ કર્યું? શરમાતા તેણે બે વાત કહી. કચરાના ત્રણ મોટા પહાડો બનાવીને આખી દિલ્હીને કચરો બનાવી દીધી. કાલે સવારે (ગુરુવારે) હું ગાઝીપુરમાં કચરાનો પહાડ જોવા જઈશ. તમે પણ આવશો.’
એમસીડી ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસના નેતા અલકા લાંબાએ આજતકને કહ્યું કે કચરો અને પ્રદૂષણને કારણે ઘણા લોકો મરી રહ્યા છે. કેજરીવાલ દિલ્હીની રાજનીતિ બદલવા આવ્યા હતા, પરંતુ દિલ્હીની સ્થિતિ યથાવત છે.