અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં હારને ન પચાવી શક્યા બાદ પાકિસ્તાન તેની અસલીયત પર આવી ગયું છે. એ વચ્ચે હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટ લેજેન્ડ દાનિશ કનેરિયાનું દર્દ છલકાઈ ગયું છે. તેણે એક જૂનો વીડિયો શેર કરીને પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર તેમના કાર્યકાળ દરમિયાન તેના પર ધાર્મિક દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે. પોતાના સમયના પાકિસ્તાનની ટીમમાં એકમાત્ર હિન્દુ ખેલાડી કનેરિયાનો દાવો છે કે તેના પર સતત ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. કનેરિયાએ શેર કરેલા આ વીડિયોમાં પાકિસ્તાની ખેલાડી શ્રીલંકાના તિલકરત્ને દિલશાનને ઈસ્લામ ધર્મ અપનાવવાની સલાહ આપી રહ્યો છે.
તમને ધ્યાનમાં જ હશે કે, દાનિશ કનેરિયા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એકમાત્ર હિંદુ ખેલાડી હતો. તેની આ ધાર્મિક ઓળખને કારણે તેને સતત ટાર્ગેટ બનાવી અપમાનિત કરવામાં આવતો હતો. દાનિશનો દાવો છે કે તેના પર વારંવાર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કનેરિયાના આરોપોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કનેરિયાને તેની હિંદુ ઓળખના કારણે જે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો તે અસહ્ય હતા. ડ્રેસિંગ રૂમ હોય કે ડાઇનિંગ ટેબલ કે પછી પ્લે ગ્રાઉન્ડ તેણે તેના સાથી ખેલાડીઓના અપમાનભર્યા ઝેરીલા શબ્દોનો સામનો કર્યો હતો. અખ્તરે એક ટેલિવિઝન શો દરમિયાન નિખાલસપણે આ વાત જાહેર કરી હતી. આ વાતનો ઘટસ્ફોટ કરતાં શોએબ અખ્તરે ડેનિશ કનેરિયા સાથે થયેલા અન્યાય અંગે સાથી ખેલાડીઓ સાથે થયેલી ઉગ્ર શબ્દોની આપ-લેને શબ્દશઃ યાદ કરી હતી.