જીએસટીનો અમલ થયાને પાંચ વર્ષ થઇ ગયા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 2.75 લાખ વેપાર-ધંધાની પેઢીઓને તાળા લાગ્યા હોવાનો રિપોર્ટ રજૂ થયો છે. જોકે આ હાલત પાછળ વૈશ્વિક સ્લો ડાઉન ઉપરાંત ટેક્સની કડાકુટો, કોરોના કાળ જેવા અનેક કારણો ગણી શકાયા છે. રાજ્ય જીએસટી વિભાગના રિપોર્ટ પ્રમાણે કોરોના કાળના બે વર્ષમાં 1.24 લાખ વેપારી પેઢીઓ બંધ થઇ હતી.
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પાંચ વર્ષમાં કુલ 2.75 લાખ લોકોએ પોતાના ધંધા સંકેલીને જીએસટી રજીસ્ટ્રેશન પરત આપી દીધા છે જે ગુજરાતના કુલ નોંધાયેલા વેપારીઓના 25 ટકા થવા જાય છે. રાજ્યમાં કુલ 11.1 લાખ જીએસટી કરદાતા છે. કોરોના કાળ તો ખરો જ પરંતુ એ ઉપરાંત આર્થિક સ્લો-ડાઉન, કરવેરા વિભાગની ઝંઝટ જેવા કારણોથી લાખો વેપારી પેઢીઓના શટર બંધ થયા છે.
કરવેરા વિભાગના સુત્રોનો દાવો જોકે થોડો અલગ છે, વિભાગના વર્તુળોનું કહેવું છે કે, નોકરીના અભાવમાં નવો ધંધો શરુ કરવાની ગણતરીએ સંખ્યાબંધ લોકોએ જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા હતા પરંતુ ધંધામાં મેળ નહીં પડતાં રજીસ્ટ્રેશન પાછા સોંપી દીધા છે. ધંધો શરુ જ નહીં થવાથી જીએસટી રિટર્ન ભરતા ન હતા અને તંત્ર દ્વારા પેનલ્ટી નોટીસ ફટકારવામાં આવે તો એ સંજોગોમાં તેઓ રજીસ્ટ્રેશન પરત સોંપી દે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ પથિક પટવારીનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક સ્લો ડાઉનની ભૂમિકા વેપાર-ધંધાને તાળા મારવામાં ખાસ્સી રહી છે. જીએસટીથી અનેક કાયદાકીય જોગવાઈઓ લાગુ પડી છે. માસિક રિટર્ન ભરવાથી માંડીને ટેક્સ ચૂકવવાનું પણ ફરજીયાત છે. તેને કારણે મોટી મૂડી કે મોટો ધંધો નહીં ધરાવતાં નાના વેપારીઓને પેઢીને તાળા મારવાની ફરજ પડે છે અથવા મોટી પેઢી સાથે ધંધો મર્જ કરી નાખે છે. રિટર્ન ફાઈલીંગની કડાકૂટમાં પડવાને પગલે એક જ પેઢી હસ્તક તમામ ધંધા રાખતા હોય છે.
મોંઘવારી, આર્થિક સ્લોડાઉન, કોરોના કાળ, યુદ્ધના ખતરાઓ અને ઘટતી ડિમાન્ડ જેવા પરિબળોને કારણે વેપાર ધંધાને વ્યાપક અસર થઇ છે. કોરોના કાળમાં નાના વેપારીઓ, રેસ્ટોરા, રિટેઇલ, ટ્રાવેલ અને હોટલના ધંધાને ખાસ્સુ સહન કરવા વારો આવ્યો છે. તેને કારણે રજીસ્ટ્રેશન પાછા સોંપવાના કેસો વધી ગયા. આંકડાઓ પર નજર કરીએ તો, 2018-19માં 30732 વેપારી પેઢીઓ બંધ થઇ હતી તો 2020-21માં 63213 અને 2018-29માં 1.60 લાખ નવા રજીસ્ટ્રેશન થયા હતા જે 2020-21માં ઘટીને 1.39 લાખ રહી ગયા.