કચ્છ જિલ્લાનું નાનકડું ગામ ધોરડો શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર થયું છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ ગુજરાતના આ ગામને વિશ્વના 54 ગામડાઓમાં સ્થાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ધોરડોને વિશ્વના નકશા પર લાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. શિયાળામાં સફેદ મીઠાને કારણે રણમાં વસેલા આ ગામમાં અદ્ભુત શ્વેત ચાદર પથરાય છે. આ ગામની સુંદરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ દર્શાવી હતી. હવે આ ગામ વિશ્વ મંચ પર ચમકી ગયું છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું આયોજન કરે છે. ગુજરાત, પછી દેશ અને હવે વિશ્વના મંચ પર ચમકનાર આ ગામનું નસીબ કંઈ અમથું નથી ચમક્યું
ધોરડો એ અત્યંત ઝૂઝ ઘરોની વસ્તી ધરાવતું નાનકડું ગામ છે. બીજાની વાત તો છોડો ગુજરાતના લોકો માટે પણ એ જાણીતું ન હતું. વર્ષોથી અજાણ્યા ગામ એવા ધોરડોને રણોત્સવ થકી ઓળખ મળી. કચ્છ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું બન્ની પ્રદેશનું છેલ્લું ગામ છે. રણોત્સવના આયોજન પૂર્વે, આ ગામમાં માત્ર જરૂરી માળખાકીય સુવિધાઓ પણ ન હતી અને આજે સ્થિતિ એ છે કે ધોરડો એ ગુજરાતના વિકાસનો ગૌરવવંતો ચહેરો છે. ધોરડો ગામ સફેદ રણની શરૂઆત પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવે છે. આ ગામમાં હજુ પણ પરંપરાગત ભૂંગળા (ગોળાકાર મકાનો) છે. જે પ્રવાસીઓમાં હવે ખૂબ લોકપ્રિય છે.
ધોરડો વિશ્વના નકશા પર ચમકવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. સમાન શ્રેય ગામના ગુલબેગ મિયાંને જાય છે. ગુલબેગ મિયાં એ જ વ્યક્તિ છે જેણે ગામમાં રણોત્સવનું આયોજન કરવાનું સપનું જોયું હતું. તેમના પુત્ર મિયાં હુસૈને તેમના પિતાની ઇચ્છા તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને જણાવી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલબેગ મિયાંના સપનાનાંને તેમની લાગણીને સમજી અને આયોજન જાણ્યું. બસ પછી તો કહેવું જ શું ધોરડો ગામ નવી યાત્રાએ નીકળ્યું. આજે ગામમાં ગુલબેગ મિયાંનું સ્મારક છે. તેમના પુત્ર મિયાં હુસૈન આ ગામના સરપંચ છે. ગામના લોકો આજે પણ ગુલબેગ મિયાંનો આભાર માને છે. હવે ગામ અતિથિ દેવો ભવની ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે.
ગુલબેગ મિયાંએ ત્રણ દાયકા પહેલા આ ઉત્સવના આયોજન માટે પ્રયાસો શરૂ કર્યા હતા. 90ના દાયકામાં નાના પાયે દિવસભર ઉત્સવ થતો હતો, 2008માં તંબુઓમાં ઉત્સવ શરૂ થયો હતો. ગુલબેગ મિયાંનું 1999માં અવસાન થયું, પરંતુ એ પહેલા તેમનું સપનું પૂરું થયું. હવે તેમના પુત્ર મિયાં હુસૈન કચ્છની કળાને પ્રોત્સાહન આપવાનું નેતૃત્વ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનાં વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકે જાહેર કરતાં હવે આ ગામે મોટી છલાંગ લગાવી છે. આ ગામની વસ્તી હજુ પણ 1000થી ઓછી છે. રણોત્સવના આયોજન માટે અહીં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ શિયાળાની ઋતુમાં કચ્છના રણમાં ફેલાયેલા સફેદ મીઠાની મજા માણી રહ્યા છે. તાજેતરમાં, સરકારે અહીં G20 પ્રવાસન બેઠકનું આયોજન કર્યું હતું.