જ્ઞાનવ્યાપી મસ્જીદના વિવાદમાં ગત 31મી મેએ ઝી ન્યુઝ ચેનલ પર ડિબેટ દરમિયાન મૌલાના ઈલિયાસ સરફુદ્દીન દ્વારા શિવલિંગ વિશે એલફેલ ઉચ્ચારણ કરતાં દેશભરમાં સનાતન ધર્મીઓ વ્યથિત થયા છે. તેમના આ ઉચ્ચરણોથી રોષ ફાટી નીકળ્યો છે. સુરતમાં પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત સામે આવ્યા છે. આ અપશબ્દોના ઉચ્ચારણ બદલ મૌલાના સામે ગુનો દાખલ કરવા હિન્દુ યુવા સેનાએ આવેદનપત્ર તેમજ વિધિવત્ ફરિયાદ રજૂ કરી છે. ઉધના પોલીસ આ ફરિયાદ અંગે ગુનો દાખલ કરે છે કેમ એ હવે જોવું રહ્યું.
ઉધનાથી કાર્યરત હિંદુ યુવા સેનાના અગ્રણી વૈભવ સોનવણે, હોમેશ હેમંતભાઈ તળેલે, સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશી ઉપરાંત શહેરના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ ઉધના પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર પાઠવી મૌલાના ઈલિયાસ સરફુદ્દીન વિરૂદ્ધ ફોજદારી રાહે ગુનો દાખલ કરવા અરજ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તા. 31મી મેએ ઝી ન્યુઝ ચેનલ પર એક લાઈવ ડિબેટ શો દરમિયાન શિવલિંગ અંગે સાવ ભદ્દી અને અણછાજતી ટીપ્પણીઓ કરતાં એલફેલ નિવેદનો ઉચ્ચાર્યા હતા. મૌલાનાની અભદ્ર ભાષા જોતાં દેશના કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ દેવી-દેવતાઓનું આવું અપમાન કોઈપણ કાળે સાંખી શકાય તેમ નથી.
આ પ્રકરણમાં ઈપીકો 153-એ, 295-એ, 295, 298 તેમજ 505 અનુસાર ગંભીર ગુનો આચર્યો હોવાથી હિન્દુ યુવા સેનાએ મૌલાના ઈલિયાસ સામે ગુનો દાખલ કરવા માંગણી કરી છે. આવેદનપત્રમાં હિન્દુ યુવા સેનાએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, મૌલાના ઈલિયાસ સામે તેના આવા કૃત્યોને કારણે હૈદરાબાદ, દિલ્હી સહિત અન્ય શહેરોમાં ગુનાઓ દાખલ થયા છે. ઉધના પોલીસ હવે સુરતથી ગુનો દાખલ કરે તેવી માંગણી સંગઠન દ્વારા થઈ છે.