દુધનું અકસ્માતે પણ ઉભરાઈ જવું એ હિન્દુ સંસ્કૃતિમાં અપશુકન તરીકે જોવામાં આવે છે. દુધની કિંમત માલધારી સમાજ ન સમજે તેનાથી કપરો કાળ બીજો તો કયો હોઈ શકે, ઢોર નિયંત્રણ કાયમો અમલી બનાવીને સરકાર દ્વારા રસ્તે રખડતાં ઢોરને ડબ્બે પૂરવાનું શરૂ કરતાં જ માલધારી સમાજ લડતના માર્ગે લાંબા સમથી ચાલી રહ્યો હતો જેમાં બુધવારે આ સમાજે દૂધની સપ્લાય જ નહીં કરવાનો નિર્ણય લેતાં સમગ્ર રાજ્યમાં તેની અસર વર્તાઈ હતી. મંગળવારની મોડી સાંજથી જ મોટા શહેરોમાં દુધ ખુટી પડ્યું હતું. સવારે જ્યારે અમુલ અને સુમુલ સહિતના પાર્લરોએ ક્યાંક પોલીસના ભરોસે દુધ લોકો સુધી પહોંચે એ માટે પ્રયાસ શરૂ કર્યો તો એ પાર્લરો અને ખુલ્લી હોય તેવી અને ડેરીઓમાં સુરત, રાજકોટ સહિત શહેરોમાં તોડફોડ મચાવવામાં આવી. લાખો લીટર દુધ પાણીમાં વહાવતાં દ્રશ્યો જ્યારે લોકોના સોશિયલ મીડિયા પર ફરતાં થયાં તો એ ખરેખર અત્યંત કષ્ટદાયક જ હતા. છેલ્લા ઘણાં સમયથી લમ્પી વાઈરસના કારણે કપરા દિવસો વેઠી રહેલા બનાસકાંઠાના માલધારી સમાજે જોકે, આ વિરોધમાં પણ જે માનવતાની મિશાલ કાયમ કરી છે એ ધન્યવાદને પાત્ર છે.
સરકારે ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવા માટે બુધવારે સવારથી જ રાજ્યભરમાં વિરોધ ઉગ્ર તબક્કે પહોંચ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વસતા તમામ માલધારી સમાજ દ્વારા જોકે એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકાની 200 જેટલી દૂધ મંડળીઓ અને માલધારી સમાજ પાસે 100 થી વધુ દૂધ મંડળીના સભાસદોએ પશુઓનું દૂધ ડેરીમાં ન ભરાવી 3 લાખ લીટર કરતા વધુનું દૂધ તમામ ગરીબ લોકોના બાળકોને તેમજ પશુઓના વાછરડાઓને પીવડાવાયું હતું. તપતાં ભાદરવામાં શ્રાદ્ધના દિવસો હોય ત્યારે દુધ ઢોળીને તેનું અપમાન કરવાને બદલે આ રીતે આંતરડી ઠારતાં આશીર્વાદ મેળવવામાં આવે એનાથી રૂડી વાત ગુજરાતની ભૂમિ માટે બીજી કઈ હોઈ શકે. લમ્પીગ્રસ્ત પશુઓને ગોળ તેમજ આયુર્વેદિક લાડુ પણ આજે ખવડાવવાના દ્રશ્યો વિસ્તારમાં અનેક ઠેકાણે જોવા મળ્યા હતા.
લમ્પી વાયરસથી પશુધનની ખુવારી બાદ સહાય અંગે ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા અનેક વાર સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.પરંતુ સરકાર દ્વારા હજી સુધી પણ એક રૂપિયાની સહાય ન ચૂકવાઈ નથી. વિસ્તારના પશુપાલકો એવી અનેક સમસ્યા ભોગવી રહ્યા છે પરંતુ તેઓનું કહેવું હતું કે એ અમારી લડત તો સરકાર સામે છે એને લડી લઈશું પરંતુ દુધનો બગાડ કરવો કેવી રીતે પોસાઈ શકે.