દ્વારકા એક અનોખી કૃષ્ણભક્તિનું સાક્ષી બન્યું. કચ્છથી લગભગ 450 કિમીનું અંતર કાપીને 25 ગાય દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. આ ભક્તિની જ અસર હતી કે તેમના માટે અડધી રાતે જગતમંદિરના દ્વાર ખોલવામા આવ્યા.
ગુજરાત સહિત દેશભરમાં જ્યારે ભયંકર લમ્પી વાયરસ ત્રાટક્યો ત્યારે ગૌવંશની હાલત રૂંવાટા ઊભા કરી દે તેવી હતી. ગૌપાલક જ નહીં આ કેર જોઈ સૌ કોઈના કાળજા કંપી જાય એવી આ વિકટ સ્થિતિ હતી. ગૌપાલકો શું કરવું અને શું ન કરવું એવી દર્દનાક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. સરકારથી લઈને સૌ કોઈ આ કરૂણાંતિકાથી છૂટવા મથી રહ્યા હતા. અબોલા પશુઓ હેરાન ન થાય એ માટે સૌ પોતાની રીતે પ્રયાસશીલ હતા ત્યારે કૃષ્ણભક્ત એવી કચ્છી ગૌપાલક માવજીભાઈએ પરમ ગૌભક્ત ભક્ત શ્રીકૃષ્ણના ચરણોમાં જ ધા નાખી. માવજીભાઈએ લમ્પી વાયરસના કેરથી ગૌવંશને ફેલાવા બાદ માનતા રાખી હતી કે, લમ્પી વાયરસથી સમસ્ત ગૌવંશને મુક્ત કરો દ્વારકાધીશ અને વાયરસનો કેર ખતમ થતાં જ હું મારી ગાયોને લઈને દ્વારકા દર્શને પહોંચીશ. માવજીભાઈની આ માનતા ફળી અને તેમની તમામ ગાય બચવા સાથે ધરતી પરથી જોતજોતામાં વાયરસનો કેર જાણે કે ગાયબ જ થઈ ગયો. ધન્યતા અનુભવતા ભાવવિભોર માવજીભાઈ તેમની બાધા પૂર્ણ કરવા નીકળ્યા.
17 દિવસ પહેલા પાંચ ગોવાળ અને તેમની 25 ગાય સાથે માવજીભાઈ કૃષ્ણનામના જાપ કરતાં કરતાં કચ્છથી નીકળ્યા. કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી માવજીભાઈ દ્વારકા પહોંચ્યા. દ્વારકા મંદિરના મેનેજમેન્ટને માવજીભાઈની આ ગૌભક્તિની વાત જાણ થઈ તો એકસૂરે મેનેજમેન્ટ તેમના સથવારે આવ્યું. જવલ્લે જ લેવાતો એવો ઐતિહાસિક નિર્ણય લઈ મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ માનવીય અભિગમનું ઉદાહરણ પુરું પાડતાં ગાયને દર્શન કરાવવા માટે પ્રથમ જ વખત અડધી રાતે દ્વારકાધીશના દ્વાર ખોલવામાં આવ્યા હતા. મંદિરના વહીવટીતંત્રએ માવજીભાઈ, તેમના ગોપાલકોને વિશેષરૂપે સન્માનિત કર્યા હતા.