સુરત શહેરમાં 27 સીટો પર વિજય મેળવી મનપામાં વિરોધ પક્ષમાં સ્થાન મેળવનાર આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને ત્યારબાદ એક મળી છ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે આ પૈકીના એક મહિલા કોર્પોરેટરે ભાજપમાંથી ફરી આપમાં વાપસી કરી છે. ફરીથી પાર્ટીમાં સમાવવા બદલ ગુલાબસિંહ યાદવ, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાનો આભાર માનતાની સાથે જ મનીષા કુકડિયાની આંખો ભીની થઈ ગઈ હતી. તેમનું કહેવું હતું કે, રડી પડ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ પણ તેણીએ ધારેલા કામો થતા ન હોવાની લાગણી સાથે તેઓ ફક્ત દોઢ મહિનામાં ફરી આપમાં આવ્યા છે.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા, ઋતા દુધાગરા, ભાવના સોલંકી અને જ્યોતિકા લાઠીયા એક ભવ્ય સમારોહ અને રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા, તેમની પાછળ પાછળ આમ આદમી પાર્ટીના વધુ એક કોર્પોરેટર કુંદન કોઠિયાએ પણ ભાજપમાં જોડાયા હતા.
મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાએ આજે ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ઘર વાપસી કરી છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરવામાં આવી છે.
મનીષા કુકડિયાએ ફરીથી પાર્ટીમાં સ્થાન આપવા બદલ ગુલાબસિંહ યાદવ, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાનો આભાર માન્યો હતો. આભાર માનતાની સાથે જ તેઓ રડી પડ્યા હતા. મનીષાબેનના પતિ જગદીશ કુકડિયાએ જણાવ્યું હતું કે તેઓ કે તેમની પત્ની કે પરિવારનું કોઈ સભ્ય અત્યાર સુધીમાં રાજનીતિમાં જોડાયું નથી. ઈમાનદાર પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આપમાં જોડાયા હતા.
તેમનું કહેવું હતું કે, 10 મહિના તેમના કોઈ કામો થતા ન હોવાથી મનીષાબેનને થયું હતું કે સત્તા પક્ષમાં પહોંચીને લોકોના કામ કરી શકીશું. આ ઉપરાંત વિરોધ પક્ષમાં બેઠા હોવાને કારણે શાસકોની તાનાશાહી થતી હોવાથી તેઓ ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા દોઢ મહિનામાં જ તેઓને પાર્ટી સાથે અને કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાનો અહેસાસ થતા અને મનીષાએ પતિને જણાવ્યું હતું કે ભાજપમાં જોડાયા બાદ પણ તેમના ધારેલા કામો થતા નથી.
તેણીએ કહ્યું હતું કે સૌપ્રથમ તો મનીષાએ રાજકારણને અલવિદા કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પતિએ હિમ્મત આપતા તેઓ મનોજ સોરઠિયાને મળ્યા હતા અને તેઓ આજે ફરી આપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને ખોટા પ્રલોભન આપવામાં આવે છે. ડરાવવા ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. ચૂંટણી જીતનાર તમામ આપના કોર્પોરેટરો બિનરાજકીય છે, તેઓ પહેલી વખત ચુંટણી લડ્યા અને જીત્યા છે. મનીષા કુકડીયા આત્મમંથન બાદ પુનઃ ભાજપમાં જોડાયા છે અને તેઓનું હૃદયથી પાર્ટીમાં સ્વાગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણો રસ્તો સંઘર્ષનો છે અને ગુજરાતમાં નવી આશાનું કિરણ ‘આપ’ છે. પંજાબની જીતના ઉલ્લેખ સાથે તેઓએ કહ્યું હતું કે ગુજરાતના લોકો ભાજપથી ત્રસ્ત છે અને આપ નવો વિકલ્પ છે.
ગુલાબસિંહે જણાવ્યું હતું કે એપ્રિલના પહેલા સપ્તાહથી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જનમેદની સાથે તિરંગા યાત્રા નીકળશે. ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ નાની ઉંમરમાં રાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પોતાની ઓળખ ઉભી કરવામાં સક્ષમ સાબિત થયા છે.