ગુજરાત વિધાનસભાના ચૂંટણી સામે દેખાઈ રહી છે ત્યારે, રાજકીય પક્ષોનો પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે વિરોધ પક્ષ તરીકે ભાગ પડાવવા આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ ગુજરાત જોવા જઈ રહ્યું છે. આ સંજોગોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતા મહિને ફરી વખત ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી વર્તુળોના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી તા. 12મી જૂને દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનામાં પણ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા. અહીં પણ એક આદિવાસી કાર્યક્રમમાં સામેલ થયા હતા. વિધાનસભા ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના ચાર ઝોનમાં સંમેલન રાખવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છનું સંમેલન પણ જૂન મહિનામાં જ યોજાઈ શકે છે. તેનો કાર્યક્રમ હજી તૈયાર કરવામાં આવી રહ્યો છે.