મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે.
મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી
તેમણે પોતાની સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો.
મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-૧ અને સંકુલ-ર માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી, એટલું જ નહિ, મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીશ્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા.