ચાર ધામ યાત્રાની શરૂઆત સાથે જ લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચવા લાગ્યા છે. એ દરમિયાન ચિંતાની વાત એ છે કે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આ યાત્રા વૃદ્ધ તીર્થયાત્રીઓના જીવન પર ભારે પડી રહી છે. 60 વર્ષથી વધુ ઉંમરના 13 મુસાફરોના મોત થયા છે. ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ ડૉ. તૃપ્તિ બહુગુણાએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન થયેલા તમામ મૃત્યુ પગપાળા હતા. હાર્ટ એટેક અને અન્ય બીમારીઓ મૃત્યુનું કારણ બની રહી છે. ચારધામ યાત્રા રૂટ પરની હોસ્પિટલો અને મેડિકલ કેમ્પમાં તમામ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.
રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લાના અહેવાલો અનુસાર, 60 અને તેથી વધુ વય જૂથના 13 લોકો, 50 થી 60 વર્ષની વય જૂથના સાત, 40 થી 50 વર્ષની વય જૂથના 4 અને 30 વર્ષની વય જૂથના ત્રણ લોકોના મોત થયા છે.
કેદારનાથ પહોંચેલા બે શ્રધ્ધાળુઓના હદયની ગતિ રોકાઈ જવાથી મોત થયા છે. જયારે યમુનોત્રીમાં પણ એક શ્રધ્ધાળુનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ પામનારાઓમાં બે ગુજરાતીઓ છે. ગુજરાતના વડોદરાના બૈરાવદન બોધિયાની (ઉ.65)નું મૃત્યુ કેદારનાથ બેઝ કેમ્પમાં થયું હતું.
આ બન્ને યાત્રીના મોતનું કારણ હૃદય રોગ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જયારે યમુનોત્રી ધામમાં ગુજરાતના બનાસકાંઠાથી આવેલા પ્રકાશચંદ્ર (ઉ.58)ની જાનકીપટ્ટી પરત ફરતી વેળા રામ મંદિર પાસે તબિયત બગડી હતી. તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા, જયાં તેમનું મૃત્યુ થયું હતું.
બીજીતરફ, કેદારનાથ ધામમાં યાત્રા પર આવતા યાત્રીઓની ભારે સંખ્યાને જોતા મંદિરના વીઆઈપી દ્વાર બંધ કરવામાં આવ્યા છે.વીઆઈપી દર્શનકર્તાઓને પણ સામાન્ય યાત્રીઓની લાઈનમાંથી પ્રવેશ મંદિરમાં કરાવવાનો નિર્ણય વહીવટીતંત્રે લીધો છે. કેદારનાથમાં 7 દિવસમાં 2 લાખ જેટલા યાત્રીઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા છે.