પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલય, અમદાવાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ને 39 દિવસ બાકી છે એ નિમિતે યોગના પ્રચાર અને પ્રસાર માટે કાઉન્ટ ડાઉન યોગોત્સવ, યોગ નિદર્શન કાર્યક્રમ સાબરમતી રીવરફ્રન્ટ, ઉસમાનપુરા ખાતે યોજાયો હતો.
વૈશ્વિક સ્વાસ્થ્ય, સુખ અને સુખાકારી માટે યોગ થીમ પર આયોજિત આ યોગત્સવ કાર્યક્રમમાં 500થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પીઆઈબી અને આરઓબી ગુજરાત રિજિયનના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો. ધીરજ કાકિડયાએ ગીતાના સાર લઇ યોગના મહત્વને સમજાવતા જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે,
આ અનમોલ વિદ્યા દ્વારા તન અને મન તંદુરસ્ત બનવવાની કળા આપણને પૂર્વજો દ્વારા વિરાસતમાં મળી છે. ગીતામાં પણ સ્વસ્થ્ય તન અને સ્વસ્થ્ય મન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપી શરીરને નિરોગી રાખવા તેમણે ઉપસ્થિત જન સમુદાયને અનુરોધ કર્યો.
આ કાર્યક્રમમાં ભારતીય યોગ સંસ્થાનના ગુજરાત પ્રાંતના પ્રમુખ દેવરાજભાઈ પટેલે આધુનિક જીવનમાં યોગના મહત્વ અંગે જણાવાતા કહ્યું કે, યોગ રોજ એક કલાક, 365 દિવસ કરવા જોઇએ. જીવો ઔર જીવન દો, હું યોગ કરું અને બીજાને પણ યોગ કરાવુ , હું સ્વસ્થ અને નિરોગી રહું અને બીજાને પણ સ્વસ્થ અને નિરોગી રાખુ તો સમાજ અને દેશ પણ સ્વસ્થ અને નિરોગી રહેશે તેવા સૂત્ર સાથે તેમણે ઉપસ્થિત સાધકોને વ્યક્તિ, સમાજ અને દેશ તંદુરસ્ત બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રાદેશિક લોક સંપર્ક કાર્યાલયના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, ભારતીય યોગ સંસ્થાનના પ્રાંત મંત્રી શ્રી સર્વદમનભાઈ ભટ્ટ, ભારતીય યોગ સંસ્થાના સાધકો, પીઆઈબી, આરઓબી અને યોજના કાર્યલયના અધિકારીઓ, કર્મચારીઓ તથા યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.