અત્યાર સુધી CBSE બોર્ડમાં ફક્ત અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ હવે બોર્ડે અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સંલગ્ન શાળાઓને પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 સુધી શિક્ષણના વૈકલ્પિક માધ્યમ તરીકે માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
સીબીએસઈ અનુસાર, આ નિર્ણય NEP 2020 ની જોગવાઈઓ અનુસાર છે. આ નિર્ણય યુવા વિદ્યાર્થીઓ માટે બહુભાષીયતાના મહત્વના જ્ઞાનાત્મક લાભો પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓને માતૃભાષા પર વિશેષ ધ્યાન આપીને બહુવિધ ભાષાઓનો સંપર્ક કરાવવામાં આવશે.”
બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ” CBSE સાથે જોડાયેલી શાળાઓ ભારતના બંધારણની અનુસૂચિ 8 માં ઉલ્લેખિત ભારતીય ભાષાઓના ઉપયોગને વૈકલ્પિક માધ્યમ તરીકે પાયાના તબક્કાથી લઈને માધ્યમિક તબક્કાના અંત સુધી એટલે કે પૂર્વ-પ્રાથમિક વર્ગોથી લઈને XII ધોરણ સુધીના અન્ય વર્તમાન વિકલ્પો ઉપરાંત વૈકલ્પિક માધ્યમો તરીકે ધ્યાનમાં લઈ શકે છે.”
કુશળ શિક્ષકોની ઉપલબ્ધતા, પાઠયપુસ્તકો અને સમય જેવા બહુભાષી શિક્ષણના અમલીકરણમાં પડકારોને ધ્યાનમાં રાખીને, બોર્ડે શાળાઓને ઉપલબ્ધ સંસાધનોની ખાતરી કરવા, નિષ્ણાતોની સલાહ લેવા વગેરે માટે પણ કહ્યું છે, જેથી બાળકોને શાળાઓમાં માતૃભાષામાં ભણાવી શકાય.
શિક્ષણ મંત્રાલયે NCERTને 22 અનુસૂચિત ભાષાઓમાં નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સૂચના આપી છે. આગામી સત્રથી આ પુસ્તકો ઉપલબ્ધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે CBSE બોર્ડ દેશનું સૌથી મોટું બોર્ડ છે. દર વર્ષે 30 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી-12મીની પરીક્ષા આપે છે.