બજેટ પૂર્વે વિવિધ કવાયતો હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરત સહિત આવકવેરાના રિજીયનલ કમિશનરને પાઠવાયેલા એક આંતરિક પત્રમાં સીબીડીટી દ્વારા ત્રીજા હપ્તા સહિતનું એડવાન્સ ટેક્સ કલેક્શન અને તેમના રિજીયનના ચાલુ નાણાકીય વર્ષના ટોચના 15 કરદાતાઓની માહિતી નામ તેમજ અન્ય વિગતો સાથે પહોંચાડવા તાકીદ થઈ છે. જાણકારોનું કહેવું છે કે, કેન્દ્રના નાણા મંત્રાલયે ચાલુ વર્ષે સીધા કરવેરાની આવકમાં સૌથી મોટો વધારો થાય તે જોવા માટે પ્રયાસ ચાલુ કર્યા છે તેના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
દેશમાં ચાલુ વર્ષે સીધા અને આડકતરા કરવેરાના કલેક્શનમાં થઇ રહેલા વધારાની સાથે જ સરકાર સમક્ષ આગામી સમયમાં ખાધ જાળવી રાખવા અને ઘટાડવાના પડકાર વચ્ચે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આવકવેરાના તમામ રિજીયોનમાં ટોપ-15 કરદાતાઓની માહિતી સીબીડીટીને પહોંચાડવા આદેશ આપ્યો છે.
15 ડીસેમ્બરે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો ભરપાઈ થઇ ગયો હોવાથી અને હવે આખરી ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના ફાઈનલ ટેક્સ કલેક્શનના આંકડા પણ આવી જાય તે પૂર્વે જ સીબીડીટી દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં કરવેરાની આવક તેના તમામ રેકોર્ડ તોડે તેવા સંકેત છે. સીબીડીટી દ્વારા ગુરુવારે આ અંગે દરેક રિજીયનના પ્રિન્સીપલ કમિશનરને આ માહિતીમાં તેમના રિજીયનનું કુલ એડવાન્સ કલેકશન (15 ડીસેમ્બર સુધીનું) તેમજ જે 15 ટોચના કરદાતા કે જેઓએ એડવાન્સ ટેક્સ સૌથી વધુ ભર્યો છે તેમજ ટેક્સ ભરવામાં પણ તેઓ મોખરે રહે તેવા સંકેત છે તેમના નામ સહિતની વિગતો મોકલવા પણ જણાવ્યું છે.
કોવિડ-19 બાદ સીબીડીટીના સૌથી મહત્વનો ગણાતાં આ સરક્યુલર પછી બેન્કોમાંથી એડવાન્સ ટેક્સ કલેકશન અંગે માહિતી મળી જાય ત્યારબાદ દરેક રિજીયન દ્વારા તાત્કાલીક દ્વારા આ કવાયત હાથ ધરી દેવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, તેમાં છેલ્લા બે નાણાકીય વર્ષમાં જે એડવાન્સ ટેક્સ કલેક્શન ત્રીજા હપ્તા સુધીનું એકત્ર થયું છે તેના આંકડાનો પણ સમાવેશ કરવાનો રહેશે.
કેન્દ્ર સરકારની કરવેરાની આવક ચાલુ નાણાકીય વર્ષમાં સારી રહેશે તેમ મનાય છે પરંતુ ફિસકલ ડેફીસીટ જીડીપીના 6.4% રહે તેવું સરકાર ઇચ્છે છે. અને ચાલુ નાણાકીય વર્ષમાં હાલમાં જ નાણા મંત્રાલયે રૂા. 4.36 લાખ કરોડનો વધારાના ખર્ચ માટે સંસદમાં મંજૂરી માગી છે. જ્યારે બીજી તરફ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં એપ્રિલથી નવેમ્બરના સમયમાં 24%ના વધારા સાથે 8.77 લાખ કરોડનો કરવેરો જમા થયો છે. જે ચાલુ નાણાકીય વર્ષના કુલ સીધા કરવેરાના 61.79% છે. બજેટમાં 14.20 લાખ કરોડના સીધા કરવેરાનો અંદાજ મુકવામાં આવ્યો છે જે અગાઉના નાણાકીય વર્ષ કરતા વધારે છે.