વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થાય એ સાથે જ એકતરફ ગુજરાતમાં ભાજપની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા માટે પ્રદેશના કેન્દ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર આવી પહોંચ્યા છે તો બીજીતરફ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે તાપી જીલ્લામાં વ્યારામાં વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. ભાજપના કાર્યકરોને હવે છ મહિના સુધી સખત પરિશ્રમ કરવાનો હોવાથી જલ્દીથી તાજામાજા થઈ જવા પ્રદેશ ભાજપના પ્રમુખે હાંકલ કરી છે. આ સાથે જ સમય કરતાં વહેલી ચૂંટણી થાય તેવી અટકળોને બ્રેક લાગી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તાપી જીલ્લાના વ્યારામાં વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત કરતા જણાવ્યું હતું કે મારા આ પ્રવાસમાં હું દિવસભરમાં ઓછામાં ઓછો 15 બેઠકોનું આયોજન કરી રહ્યો છે.ડિસેમ્બર 2022માં આપણા રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં કાર્યકરો પક્ષ માટે સંપૂર્ણ જોશ સાથે કામ કરી શકે એ માટે તેમનું રિચાર્જ થવું જરૂરી છે અને એટલે તા. 1થી 3 મે સુધી ભાજપમાં વેકેશન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તા.1 થી 3 મે પ્રદેશથી લઈને જીલ્લા તાલુકા કક્ષાએ એકપણ કાર્યક્રમ નહીં યોજાશે. કાર્યકર્તાઓ કુટુંબ સાથે સમય પસાર કરી શકશે.
પાટીલે એમ પણ જણાવ્યું હતું કે, હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ માસના અંત કે મેની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ રાજયના પ્રવાસે આવશે. આ કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે.
બીજીતરફ પ્રદેશના કેન્દ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને કમલમમાં તેઓએ પ્રદેશ મીડિયા સાથે બેઠક યોજી હતી. તેઓ આવતીકાલે પણ પ્રદેશના નેતાઓ સાથે મંત્રણા કરશે. કોર ટીમ સાથેની બેઠકને સૌથી મહત્વ અપાઇ રહ્યું છે. લાંબા સમયથી પ્રભારી તરીકે કાર્યરત ભુપેન્દ્ર યાદવ ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના અગ્રણીઓને પણ હાજર રહેશે.