શું તમે જાણો છો કે લોકસભાના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોને ટ્રેનમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાનો લાભ લઈને અનેક સાંસદોએ મફત રેલ્વે મુસાફરીની મજા માણી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ટ્રેનોમાં મફત મુસાફરીની સુવિધાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં તિજોરી પર 62 કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે. માહિતીના અધિકાર હેઠળ મળેલી માહિતી અનુસાર, વર્ષ 2020-21માં કોરોના મહામારી દરમિયાન આવી યાત્રાઓ પર લગભગ 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સિટિંગ સાંસદો રેલવેના ફર્સ્ટ ક્લાસ એર-કન્ડિશન્ડ ક્લાસ અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં મફત મુસાફરી માટે પાત્ર છે, તેમના જીવનસાથીઓ પણ અમુક શરતોને આધીન મફત મુસાફરી કરી શકે છે. ભૂતપૂર્વ સાંસદો પણ AC-2 ટાયરમાં તેમના સાથીઓ સાથે અથવા AC-1 ટાયરમાં એકલા મુસાફરી કરવાને પાત્ર છે.
મધ્યપ્રદેશ સ્થિત આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે આ સંદર્ભમાં માહિતી માંગી હતી. તેના જવાબમાં, લોકસભા સચિવાલયે કહ્યું કે તેમને 2017-18 અને 2021-22માં વર્તમાન સાંસદોની મુસાફરી માટે રેલવે તરફથી 35.21 કરોડ રૂપિયા અને ભૂતપૂર્વ સાંસદોની મુસાફરી માટે 26.82 કરોડ રૂપિયાનું બિલ મળ્યું છે.
આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોએ વર્ષ 2020-21માં મહામારી ફાટી નીકળી હતી એ સમયે પણ રેલવે પાસનો ઉપયોગ કર્યો હતો, તેમના બિલ અનુક્રમે રૂ. 1.29 કરોડ અને રૂ. 1.18 કરોડ હતા.
તમને જણાવી દઈએ કે રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ શ્રેણીના મુસાફરોને આપવામાં આવતી ઘણી છૂટ બંધ કરી દીધી છે, જેના કારણે લોકોમાં નારાજગી છે. વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી સબસિડી સમાપ્ત કરવાના પગલાની પણ લોકો ટીકા કરી રહ્યા છે.