ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી કહી શકાય તેમ છે ત્યારે ટિકિટનું લોબિંગ ભાજપમાં જોર પકડી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અગાઉ જ આ મુદ્દે શિસ્તમાં રહેવાની સલાહ આપવા સાથે કહી ચૂક્યા છે કે, નેતાગીરી જાણે જ છે કે કોણ કેવું છે અને કોણ કેવું કામ કરી રહયું છે એટલે કોઈના ખોટા દબાણ કે ભલામણનો પ્રશ્ન ઉપસ્થિત નહીં થશે છતાંય કાર્યકરો પોતાના આગેવાનને ટિકિટની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. ગૌરવયાત્રા દરમિયાન રાજપીપળામાં મંચ પરથી સાંસદ વસાવાએ ટિકિટ માટે દોડતાં કાર્યકરોને આંખ બતાવતાં કહ્યું કે, ટિકિટ આપવાનું પાર્ટી નક્કી કરશે, કાર્યકરો નહી. પાર્ટીમાં જેને રહેવુ છે તે રહો, બાકીના જઈ શકે છે.
નર્મદાના રાજપીપળાથી ગૌરવ યાત્રામાં સાંસદ મનસુખ વસાવા જોડાયા અને તેમણે એ સાથે સભા પણ સંબોધી હતી. તેમણે ટિકિટના કથિત દાવેદારોના સમર્થકોને આડેહાથ લેતાં જણાવ્યું કે, ભાજપ સંસ્કાર અને શિસ્તવાળી પાર્ટી છે, એટલે જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે, બાકીના લોકો જઈ શકે છે. હું સાચુ બોલનાર વ્યક્તિ છું, જેને ખોટુ લાગે તે લાગે મને કોઈ ફરક પડતો નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ટિકિટ આપવાનું પાર્ટીએ નક્કી કરશે, ફક્ત સૂત્રો પોકારતા એટલે કે દેખાડો કરતાં કાર્યકરોને નહી ચલાવી લેવામાં આવે. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી છે,અન્ય પાર્ટી જેમ ચાલતુ નથી. ખોટા લોકો પાર્ટીને નુકસાન કરે તે નહી ચાલે. ઝઘડિયા, નાંદોદ અને ડેડિયાપાડ ત્રણેય બેઠક પર જીતવાનું છે.
ઉનાથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ગૌરવ યાત્રાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય ટ્રાયબલ વિભાગના મંત્રી રેણુકાસીંગ જોડાયા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને મોવી ચાર રસ્તા થઈને ગૌરવ યાત્રા રાજપીપળા શહેરમાં પહોંચી હતી. રાજપીપળા શહેર સફેદ ટાવર ચોક ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉનાઈથી નીકળેલી આ ગૌરવ યાત્રા 27 વિધાનસભા બેઠકોમાં ફરશે અને લગભગ 1064 કિલોમીટર ફરવાની છે. રેણુકા સીંગે આમ આદમી પાર્ટી પર વાર કરતા કહ્યું કે, આ ગુજરાત છે અને અહીં કેજરીવાલનું કશું ઉપજવાનું નથી. રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આવનારા સમયમાં ભાજપની સરકાર હશે. ગુજરાતમાં કોઈ પણ એવી પાર્ટી છે જ નહીં કે ભાજપનો મુકાબલો કરી શકે નહિ.