સરકારે કરન્ટ એકાઉન્ટ ખોલવા તેમજ નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુ રકમ જમા કરવા અથવા ઉપાડવા આધાર અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફરજિયાત બનાવ્યું છે. એક જાહેરનામામાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું કે નાણાકીય વર્ષમાં બેંકો સાથે મોટી રકમની લેવડદેવડ કરવા પાન નંબર અથવા આધારનું બાયોમેટ્રિક વેરિફિકેશન આપવું ફરજિયાત રહેશે. આ સિવાય કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરન્ટ અથવા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલવા માટે પણ જરૂરી રહેશે.
CBDT એ આવકવેરા (15મો સુધારો) નિયમો, 2022 હેઠળ નવા નિયમો ઘડ્યા છે. આ સૂચના 10મી મે 2022ના રોજ બહાર પાડવામાં આવી છે. આ નવા નિયમો 26 મેથી ગ્રાહકો પર લાગુ થશે. AKM ગ્લોબલના ટેક્સ પાર્ટનર સંદીપ સહગલે આશા વ્યક્ત કરી હતી કે આ પગલું નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા લાવશે, તેણે કહ્યું કે તે બેંકો, પોસ્ટ ઓફિસો અથવા સહકારી સંસ્થાઓ માટે નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુના વ્યવહારોની જાણ કરવાનું ફરજિયાત બનાવશે.
“આનાથી સરકારને નાણાકીય વ્યવસ્થામાં રોકડની હિલચાલ પર નજર રાખવામાં મદદ મળશે,” સેહગલે કહ્યું. આ શંકાસ્પદ રોકડ જમા અને ઉપાડ સંબંધિત પ્રક્રિયાને વધુ કડક બનાવશે. આવકવેરા વિભાગને લગતા તમામ કામ માટે પાન નંબર આપવો જરૂરી છે. પરંતુ મોટી રોકડ રકમના ટ્રાન્ઝેક્શન સમયે, જો કોઈ વ્યક્તિ પાસે PAN ન હોય તો તે આધારનો ઉપયોગ કરી શકે છે.
નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિને PANની માહિતી આપવાની જરૂર હોય પરંતુ તેની પાસે PAN નથી, તો તે આધાર બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે. નાંગિયા એન્ડ કંપનીના પાર્ટનર શૈલેષ કુમારે જણાવ્યું હતું કે એકવાર ટ્રાન્ઝેક્શન સમયે PAN નંબર આપવામાં આવે તો ટેક્સ સત્તાવાળાઓ માટે ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરવામાં સરળતા રહેશે.