એકતરફ પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર પર સક્રિય થવાનું દબાણ વધી રહ્યું છે ત્યાં આજે વહેલી સવારથી જ સરકારની 500 કરોડની સહાય મામલે અનેક રજૂઆતો, ધરણા છતાંય સરકાર તરફથી કોઈ સહાય ના ચૂકવાતા આંદોલનને ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠામાં સવારથી જ પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દેતાં રસ્તાઓ પર જામના દ્રશ્યો સર્જાયા હતા. ડીસા, લાખણી, થરાદ, રાધનપુર સહિત અનેક સ્થળોએ સવારથી શરૂ થયેલી આ ચળવળ હજી વધુ ને વધુ ઉગ્ર બનીને રાજ્યભરમાં પ્રસરે તેવો દાવો આંદોલનકારી અગ્રણીઓ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં લગભગ 160 જેટલી ગૌશાળાઓમાં 80,000થી વધુ પશુઓ આશ્રય લઈ રહ્યાં છે અને આ તમામ પશુઓને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકીને પગલે ગઈરાતથી તંત્રને પરસેવો પડી રહ્યો હતો જોકે. તંત્રના કોઈ પ્રયાસો કારગત સાબિત ન થતાં સવારથી જ સ્થિતિ વણસી હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આજે વહેલી સવારે ડીસા, રાધનપુર સહિત બનાસકાંઠાની ગામેગામ સ્થિત તમામ ગૌશાળા પાંજરાપોળોમાંથી ઢોરોને છોડી મૂકવામાં આવ્યાં છે. પાંજરાપોળમાંથી ઢોર છોડવાના હોવાની જાણ થતાં પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરિકેટ્સ મૂકી દીધાં હતા. પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હોવા છતાંય હજારોની સંખ્યામાં પાંજરાપોળોમાંથી ગાય છોડવામાં આવતાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો અને ગૌસેવકોએ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરી માંડ માંડ સ્થિતિ થાળે પાડી હતી.
ગૌશાળા અને પાંજરાપોળના ગેળા,સેકરા અને લાખણીના પશુઓને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈરાતથી જ સતર્ક પોલીસે ગૌશાળા પાંજરાપોળના સંતો અને સંચાલકોને ડીસા તરફ જતા રોકી લીધા હતા તો કેટલીક ગૌશાળાના સંચાલકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરકાર આ મુદ્દે સકારાત્મક પરિણામ લાવવામાં નિષ્ફળ રહે છે તો આગામી દિવસોમાં આ આંદોલન બનાસકાંઠાની સરહદો ઓળંગી રાજ્યના અન્ય ભાગોમાં જલદ બનીને ન પ્રસરે તો જ નવાઈ રહેશે.