સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર ગઈ રાત્રે હુમલો થયો છે. સુરતના સિમાડા નાકા વિસ્તારમાં આપ નેતાના એક ગણપતિ પંડળ ખાતે તેઓ અમદાવાદથી તૈયારીની સમીક્ષા કરી રહ્યા હતા એ દરમિયાન પાઈપ, બામ્બુ જેવા મારક હથિયારો સાથે તુટી પડતાં અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયાને માથામાં ગંભીર ઈજાઓ થતાં સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયા છે. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા આપના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત એક ભવ્ય ગણપતિ ઉત્સવની સમીક્ષા કરવા અમદાવાદથી સુરત આવ્યા હતા. રાત્રે કાર્યકરો સાથે તેઓ સિમાડા વિસ્તારના આ ગણપતિ પંડાળ પાસે હતા અને બેનર્સ વગેરે ક્યાં લગાવવા જેવી બાબતોની ચર્ચા કરી રહ્યા હતા એ વખતે પંડાળની પાછળ મોકાની રાહ જોઈને ઊભેલા તત્વોએ તેમને જ વિશેષ ટાર્ગેટ બનાવી તેમના પર હુમલો કર્યો હતો. ચશ્મા ખેંચીને તોડી નાખ્યા બાદ માથામાં પાઈપ તેમજ બામ્બુ લઈને આઠથી દસ લોકો તુટી પડ્યા હતા. સાથે હાજર કાર્યકર્તાઓને આવી ઘટનાનો અંદાજ પણ ન હતો અને તેઓ કંઈક વધારે સમજે એ પૂર્વે તો હુમલાખોરો તેમનું કામ કરી ચૂક્યા હતા.
મનોજ સોરઠીયાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ મામલામાં કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ઈપીકો 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ દેસાઈ, ભરત ઘેલાણી, કાંતિ સાંગઠિયા, ભાવેશ ઘેલાણી, કિશન દેસાઈ, કલ્પેશ દેવાણી, મહેશ સાકરીયા, મહેન્દ્ર દેસાઈનો સમાવેશ થાય છે.
ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બહાર આવ્યા છે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે. બીજીતરફ આપના પ્રદેશ એકમ તરફથી પણ ખૂબ ઉગ્ર પ્રતિક્રિયાઓ બહાર આવી છે. ગુજરાતમાં ચૂંટણી હિંસક રૂપ ધારણ કરે તેવું ખુબ ઓછું જોવા મળ્યું છે ત્યારે આ ઘટનાથી રાજકીય માહોલ ગરમાયો છે. આપના કાર્યકરોનો રોષ આ હિંસક ઘટના બાદ સૌથી વધારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સોશિયલ મીડિયા પર ફૂટી રહ્યો છે.