જિલ્લા શિક્ષણ અધિકારીએ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં પર્લ સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીઓને નમાજ અદા કરવા માટે કહેવામાં આવ્યું હોવાની ઘટનાની તપાસ શરૂ કરી છે. ડીઇઓએ આ મામલાની નોંધ લેતાં ઘટનાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે. બીજીતરફ આવી જ અન્ય એક ઘટનામાં મહેસાણામાં રાધનપુર રોડ સ્થિત કિડ્સ કિંગડમ સ્કૂલને હિંદુ બાળકોને બકરી ઈદની ઉજવણીમાં ભાગ લેવાનો આદેશ આપવા બદલ સ્થાનિકો, વાલીઓ અને હિન્દુ સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.
મુંદ્રાની આ ઘટના સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયો દ્વારા પ્રકાશમાં આવી હતી, જેમાં પર્લ સ્કૂલના હિંદુ વિદ્યાર્થીઓને બકરી ઈદ પ્રવૃત્તિઓ દરમિયાન ટોપી પહેરાવીને નમાઝ અદા કરવાની સૂચના આપવામાં આવી હતી. શાળાના આચાર્ય પ્રીતિ વાઘવાણીએ દાવો કર્યો હતો કે 28 જૂને આયોજિત પ્રાર્થના સત્ર શાળાની પ્રવૃત્તિઓનો એ એક ભાગ હતો. જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો એ બાબતે તેમણે માફી પણ માંગી હતી. જો કે, ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આવી પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સ્વિમિંગ, ઘોડેસવારી અથવા સંગીત પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકાય છે, પરંતુ વિધર્મી પ્રાર્થના એ કેવી રીતો શાળાના અભ્યાસક્રમનો ભાગ હોઈ શકે. ધારાસભ્ય દવેએ ડીઇઓને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાના દિવસે શાળામાં રજા હોવા છતાં વિદ્યાર્થીઓને બોલાવીને મુસ્લિમ વસ્ત્રો પહેરીને નમાજ પઢવાનું કહેવામાં આવ્યું હતું.
બીજીતરફ મહેસાણાની એક ખાનગી શાળામાં પણ બકરી ઈદની ઉજવણી બાબતે હોબાળો થયો છે. આરોપ છે કે બકરીઇદના અવસર પર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન હિંદુ બાળકોને નમાજ પઢાવવામાં આવી હતી. આ વાતની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ ઉશ્કેરાયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પણ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસાણાની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં બકરીદ નિમિત્તે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકોને બકરીદના તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે નમાઝ કેવી રીતે અદા કરવી? નમાઝ પઢતા બાળકોનો ફોટો વાલીઓ સુધી પહોંચતા તેઓએ હોબાળો મચાવ્યો હતો.
બીજી તરફ શાળામાં બકરી ઈદની ઉજવણીના સમાચાર મળ્યા બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો શાળાની બહાર એકઠા થઈ ગયા હતા. તેમણે શાળા સંચાલકો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા સાથે શાળાની બહાર રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. વિવાદ વકરતો જોઈને શાળાના ટ્રસ્ટી રાશિ ગૌતમે કહ્યું છે કે તે પોતે હિન્દુ છે. તેમણે શાળામાં મુસ્લિમ ધર્મના પ્રચાર માટે કોઈ કાર્ય કર્યું નથી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં જે તહેવારો ઉજવવામાં આવે છે. તે તેની માહિતી બાળકોને આપવા માંગતી હતી. તેથી જ શાળામાં બકરીદની ઉજવણી રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે કાર્યકર્તાઓએ શાળાની બહાર હંગામો મચાવ્યો. આ પછી પોલીસને બોલાવવી પડી હતી.વાત વધુ વણસે એ પૂર્વે શાળા સંચાલકોએ માફી માંગી હતી. બીજીતરફ વિહપ અને બજરંગદળના કાર્યકરોએ શાળા પ્રશાસનને ચેતવણી આપી હતી કે બીજીવખત શાળામાં આવા કાર્યક્રમોનું આયોજન ન થવું જોઈએ.