આસારામ અને તેના પૂત્ર નારાયણના કર્મો તેમનો હજીયે પીછો નથી છોડી રહ્યા અને મુશ્કેલીઓ વધી રહી છે. બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામની પુત્રવધૂએ નારાયણ પાસે છૂટાછેડા સાથે 5 કરોડ રૂપિયા માગ્યા છે. 82 વર્ષીય આસારામ બાપુ જોધપુર જેલમાં બંધ છે. બળાત્કારના બે કેસમાં દોષિત સાબિત થયા બાદ તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જેલમાંથી નીકળવાના કોઈ રસ્તા મળી નથી રહ્યા ત્યારે હવે તેમની મુશ્કેલીઓ વધવા લાગી છે.
આસારામનો પુત્ર નારાયણ પણ પિતાની જેમ જેલમાં સજા કાપી રહ્યો છે. સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણના ગુનાઓ પણ ઓછા નથી. તમને યાદ અપાવી દઈએ કે, 2013ના બળાત્કારના કેસમાં નારાયણને 26 એપ્રિલ 2019ના રોજ સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નારાયણને જ્યારે સજા થઈ ત્યારે તેની પત્નીએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્દોરની રહેવાસી જાનકી હરપલાની ઉર્ફે શિલ્પીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, નારાયણને સજા થઈ એ તમામ લોકો માટે એક મોટો બોધપાઠ છે જેઓ ધર્મના નામે દુષ્કર્મ કરે છે.
જાનકી હરપલાણી ઉર્ફે શિલ્પીએ નારાયણ સામે છૂટાછેડાની અરજી કરી હતી. આસારામની પુત્રવધુ જાનકીએ ફેમિલી કોર્ટમાં અરજી કરી છૂટાછેડા સાથે પાંચ કરોડ રૂપિયાની રકમ માંગી છે. જાનકીના વકીલે જણાવ્યું છે કે, કોર્ટ આ પ્રકરણમાં બે સપ્તાહમાં સુનાવણી હાથ ધરશે.
નારાયણની પત્નીએ પાંચ વર્ષ પહેલા કોર્ટમાં અરજી દાખલ કરી કે નારાયણ પાસે તેના દર મહિને ભરણપોષણ માટે પૈસા માંગ્યા હતા. આ કેસમાં ચૂકાદો આપતાં કોર્ટે નારાયણને આદેશ આપ્યો હતો કે તે જાનકીને દર મહિને 50,000 રૂપિયા ભરણપોષણ પેટે આપે. જાનકીનો આરોપ છે કે, નારાયણે કોર્ટના એ આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને એટલે જ હવે એ તે છૂટાછેડાની સાથે 5 કરોડ રૂપિયાની માંગણી કરી રહી છે.
એટલું નહીં બીજીતરફ આસારામનાં પત્નિ, પુત્રી તેમજ ત્રણ મહિલા અનુયાયીઓને ગુજરાત હાઈકોર્ટ નોટીસ પાઠવી છે. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ એ.વાય. કોગજે તથા જસ્ટીસ હસમુખ સુથારની ડિવીઝન બેંચે આસારામની પત્નિ લક્ષ્મી અને પુત્રી ભારતી સહિત પાંચને નોટીસ ફટકારી છે. અપીલ દાખલ કરવામાં 29 દિવસનાં વિલંબની નોંધ સાથે તેઓને આ નોટીસ ફટકારવામાં આવી છે.આસારામ બળાત્કાર કેસમાં તેમની પત્ની અને પુત્રી પર મદદગારી તથા ઉશ્કેરણી કરવાનો આરોપ હતો જોકે કેસમાં પુરાવાના અભાવે તેઓને છોડી મુકવામાં આવ્યા હતા. હવે રાજય સરકારે આ ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય લઈ અદાલતે છોડી મુકેલ 6 માંથી 5 સામે અપીલ દાખલ કરી છે.
અહીં એ જાણવું પણ જરૂરી છે કે, આસારામ હાલ દસ હજાર કરોડથી વધુની સંપત્તિનો સ્વામી છે. આ સંપત્તિમાં આસારામના 400થી વધુ આશ્રમો, 1500થી વધુ સેવા સમિતિ અને 17000 થી વધુ બાળ સંસ્કાર કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ સિવાય 40 થી વધુ ગુરુકુલો છે. આ તમામ પ્રોપર્ટીની કિંમત આશરે 10,000 કરોડથી વધુની થાય છે. આસારામ અને તેના પુત્ર નારાયણને જેલમાં ધકેલી દીધા બાદ આ સંપત્તિની દેખરેખ આસારામની પુત્રી ભારતી કરી રહી છે.