કોરોના કાળ દરમ્યાનની વિમાની ભાડા પર લાગુ મર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણયની સાથે જ આગામી સપ્તાહથી વિમાની ભાડા ઘટવા લાગે તેવી શક્યતા છે. તેનો સીધો અર્થ એ છે કે, આ ફેસ્ટિવલ સિઝનમાં લોકોને વિમાની મુસાફરીનો લાભ સસ્તા ભાડાથી મળશે. વિમાની કંપનીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે ભાડા ઘટવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હી, ચેન્નઇ, મુંબઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા રુટના ભાડામાં ધરખમ ઘટાડો થઇ શકે છે.
કોરોના કાળમાં ઓગસ્ટ 2020થી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન દ્વારા વિમાની ભાડા તથા મુસાફરોની સંખ્યા પર નિયંત્રણો-મર્યાદા મુકવામાં આવ્યા હતા. પરિણામે વિમાની ટીકીટ ભાડામાં તોતીંગ વધારો થવા લાગ્યો હતો. કોવિડ નિયંત્રણો દૂર થવા છતાં વિમાની કંપનીઓ ભાડા ઘટાડતી નહતી. હવે ઉડ્ડયન વિભાગે ભાડા મર્યાદા દૂર કરી દીધી છે. 1લી સપ્ટેમ્બરથી કોઇ ભાડા મર્યાદા નહીં રહે. જેને પગલે એરલાઈન્સ વચ્ચે સ્પર્ધા થવાની અને ભાડા ઘટવાની શક્યતા છે.
તળસુરતના એક ટ્રાવેલ એજન્ટ શફીભાઈનું માનવું છે કે, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઇ, હૈદ્રાબાદ જેવા બીઝી રુટ પર તહેવારો દરમ્યાન પણ વિમાની ભાડા નીચા રહી શકે છે. ઉડ્ડયન વિભાગના આ પગલાનો લો-કોસ્ટ એરલાઇન્સે વિરોધ કર્યો છે પરંતુ અન્ય એરલાઈન્સ તેને આવકારી રહી છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષ શર્માએ કહ્યું કે મુસાફરોને સસ્તી વિમાની સફરનો લાભ મળશે. જો કે, વિમાની કંપનીઓ ભાડા કેટલા ઘટાડે છે તેનો અંદાજ 1 સપ્ટેમ્બર પછી જ આવી શકશે, પરંતુ 30થી 50 ટકા ઘટાડો થાય તેવો મુડ કંપનીઓમાં જોવા મળી રહ્યો હોવાનું મોટા ગજાની ટ્રાવેલ્સ એજન્સીઓનું માનવું છે.