નિવૃત સૈનિકોએ પણ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. મંગળવારે દેખાવો દરમિયાન એક નિવૃત્ત જવાન વિજયનગરના રહેવાસી કાનજીભાઈ મોથલીયાનું મોત થયું હતું. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ મામલે રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે. ગુજરાત આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ગાંધીનગર સિવિલ હોસ્પીટલ પહોંચી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં પૂર્વ સૈનિકોને સાથ આપવાનો નિર્ધાર જણાવ્યો છે.
આપના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, ભ્રષ્ટ ભાજપે પૂર્વ સૈનિકો પર લાઠીચાર્જ કરાવ્યો હતો અને તેમાં એક પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ ઘટનામાં શોક વ્યક્ત કરવા તથા પૂર્વ સૈનિકોને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા.