રાજસમઢીયાળ એ ગુજરાતના રાજકોટ જિલ્લાનું ગામ છે. વર્ષોથી રાજસમઢીયાળાની ગ્રામ પંચાયતના બે નિર્ણય એવા છે જેનું અનુકરણ દેશભરમાં થવું જોઈએ. પ્રથમ તો એ કે, આ ગામમાં કોઈપણ રાજકીય પક્ષો માટે ગામમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. જેથી ગામનું વાતાવરણ પ્રદુષિત ન થાય, વાતાવરણ બગડે નહીં. લોકોમાં રાજકારણના નામ પર નફરત ન ફેલાવવી જોઈએ.
આ જ ગ્રામ પંચાયતનો બીજો કડક અને મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે, ગામના તમામ લોકો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ફરજિયાત મતદાન માટે નિયમ પણ બનાવવામાં આવ્યો છે. જો કોઈ મતદાર અહીં પોતાનો મત ન આપે તો તેને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ ગામના સરપંચ અશોકભાઈ વાઢેરા કહે છે, ‘અમારા પૂર્વ સરપંચ હરદેવસિંહ જાડેજાના સમયથી આ ગામમાં ચૂંટણી પ્રચારની સંપૂર્ણ મનાઈ છે. કારણ કે આ ગામના રહેવાસીઓ માને છે કે આ રીતે પ્રચાર-પ્રસારની ચર્ચાઓને કારણે ગામનું વાતાવરણ ખરાબ થશે.
રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમઢિયાળા ગામમાં ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી જ નથી અને સમરસ જાહેર થાય છે. ગ્રામ પંચાયત સિવાયની ચૂંટણીઓમાં 100 ટકા મતદાન થાય છે.
રાજસમઢીયાળામાં 2005થી પ્લાસ્ટિક મુક્ત રાજસમઢીયાળમાં ગામના નિયમો એ જ કાયદો અને લોકઅદાલત એ જ સુપ્રિમ માનવામાં આવે છે. અહીં જુગાર, દારૂ અને પાન-મસાલાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામમાં વૃક્ષનું વાવેતર ફરજીયાત છે. આ જ વાતો ગામને સૌથી અલગ અને અનુકરણીય બનાવે છે અને એટલે જ ગામને વિવિધ સ્તરે અનેક એવોર્ડ અત્યાર સુધી મળ્યા છે.