આણંદ કૃષિ યુનિવર્સિટી (એએયુ)એ કેરીની એક નવી જાત આનંદ રસરાજ વિકસાવી છે કૃષિ વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કેરીની આ નવી જાત વધુ ઉપજ આપે છે અને તેની ગુણવત્તા પણ સારી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આનંદ રસરાજમાં સ્વાદ અને સાઇઝ બંનેમાં વૈવિધ્ય હોતાથી કેસર કેરીની સામે તેને મોટું બજાર મળી શકે તેવી તેની ક્ષમતા છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2000માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પારીઆ ખાતેના કૃષિ પ્રાયોગિક સ્ટેશને કેરીની સોનપરી જાત રીલીઝ કરી હતી જેની સારી એવી માંગ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કે બી કથિરીયાના જણાવ્યા અનુસાર, ‘અમે કેરીની નવી જાત આનંદ રસરાજને હાલમાં જ રિલીઝ કરી છે. આ કેરી ઉગાડનારાઓ અને ખાનારાઓ બંનેની માંગને સંતોષવાની ક્ષમતા ધરાવે છે.’ ડો. કથિરીયા અને રિસર્ચના ડાયરેકટર્સ ડો. એમ કે ઝાલા અને ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ મોર તેમજ જાબુગામ રિસર્ચ સ્ટેશનના વૈજ્ઞાનિકોની ટીમે આ નવી જાત વિકસાવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હોર્ટીકલ્ચર વૈજ્ઞાનિક ડો. એમ જે પટેલે કહ્યું કે, અત્યારે ગ્રાહકો મોટા ભાગે ક્વોલિટી, સ્વાદ અને ફળના આયુષ્યના આધારે પસંદગી કરતા હોય છે. લંગડો એ ખરેખર કેરીની એક સારી જાત હોવા છતાં તેનું આયુષ્ય ઓછું હોવાથી તેની માંગ ઓછી રહે છે, જ્યારે કેસર તેની ક્વોલિટી અને સ્વાદના કારણે સ્થાનિક તેમજ વિદેશી બજારમાં ભારે ડિમાન્ડમાં હોય છે.
તેમણે આ વાતને વધુ વિસ્તૃત કરતાં જણાવ્યું હતું કે, કેરીની આ નવી જાત પ્રતિ વૃક્ષ 57.4 કિલો અથવા 11.49 ટન પ્રતિ હેકટરની ઉપજ આપે છે. જે લંગડા કરતા 29.86 ટકા, દશેરી કરતા 44.95 ટકા, કેસર કરતા 30.45 ટકા, સોનપરી કરતા 31.35 ટકા, સિંધુ કરતા 77.16 ટકા અને મલ્લિકા કરતા 27.84 ટકા વધારે છે.
તેમણે એમ પણ માહિતી રજૂ કરી હતી કે,આનંદ રસરાજ કેરી 110 દિવસમાં પાકી જાય છે. અગત્યની વાત એ પણ છે કે, કેરીની આ નવી જાતમાં જીવાતના કારણે નુકસાન બહુ ઓછું થાય છે.